સુરતમાં રાહુલની જનસભા, સરદાર અંગે સવાલો કરતાં બેનરો લાગ્યા
રાહુલ ગાંધીની સુરતમાં સભા પહેલા લગાવામાં આવ્યા પોસ્ટરો. સરદાર પટેલને લગતા પ્રશ્નો કરતા પોસ્ટર લગાવામાં આવ્યા આ અંગે વધુ વાંચો અહીં.
આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો ગુજરાતમાં ચૂંટણી પ્રવાસનો ત્રીજો અને છેલ્લો દિવસ છે, ત્યારે તેમના આગમન પહેલા સુરતમાં રાહુલ ગાંધીને કેટલાક પ્રશ્નો કરતા હોય તેવા બેનર્સ લાગ્યા હતા. આ સવાલો પૈકી એક સવાલ એવો હતો કે, સરદાર પટેલને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કેમ ન બનાવવામાં આવ્યા? ઉપરાંત એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સરદાર પટેલને ભારત રત્ન આપવામાં 41 વર્ષની વાર શા માટે લગાડી? આ બનેર ગુરૂવારે રાત્રે સુરતમાં જોવા મળ્યા હતા. જો કે, આ બેનર કોણ લગાડી ગયું તે અંગે કોઈ સગડ મળ્યા નથી અને હાલ તો આ બેનરોના પગલે કોંગ્રેસી કાર્યકર્તાઓ દોડતા થઈ ગયા છે. તો એવો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, સંસદમાં 2014 સુધીમાં સરદાર પટેલનો ફોટો કેમ લગાવવામાં નથી આવ્યો? તો વળી નર્મદા મુદ્દે અણિયાણો સવાલ કરતા પૂછવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ નર્મદા ડેમની ઉંચાઈ કેમ ન વધારી, એટલા માટે કે તેનું નામ સરદાર પટેલ સાથે જોડાયેલું હતું?
નોંધનીય છે કે, રાહુલ ગાંધી સુરતમાં વરાછા વિસ્તારમાં સભા સંબોધન કરનાર છે. વરાછા વિસ્તારમાં પાટીદારોની સંખ્યા ખૂબ વધારે છે અને આથી જ ભાજપ ત્યાં સભા સંબોધવામાં અસમર્થ છે, ત્યારે કોંગ્રેસની આ સભા અંગે અનેક પ્રશ્નો થઇ રહ્યાં છે. કોંગ્રેસ અને પાસની કોર કમિટિની બેઠક બાદ હાર્દિકે પાટીદારોના અનામત મુદ્દે પોતાના મતનું 7 નવેમ્બર સુધીનું અલ્ટિમેટમ કોંગ્રેસને આપ્યું હતું અને હાર્દિક પોતે પણ 6 નવેમ્બર સુધીમાં કપિલ સિબ્બલ પાસે સલાહ લઇ આ અંગે આગળ નિર્ણય છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ પણ શુક્રવારે સુરતમાં જ હશે, આમ છતાં આ રાહુલ અને હાર્દિકની મુલાકાત થવાની સંભાવનાઓ કોંગ્રેસ દ્વારા નકારવામાં આવી હતી.