Ahmedabad News: 2036 ઓલિમ્પિકને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1507 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કર્યું. દેવનગર ખાતે મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરાયું, અમિત શાહે કહ્યું, PM મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને CM ભૂપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે.

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદ શહેરને અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના 1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
દેવનગર ખાતે નિર્માણ પામનાર મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત સહિત અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી અર્પણ
આ વિકાસ પ્રકલ્પોની સાથે, અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ નિર્માણ પામેલા 465 આવાસો અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા 1573 આવાસોનો ડ્રો પણ કરવામાં આવ્યો હતો. આવાસોના લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે આવાસની ચાવી કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.
અમદાવાદ સ્પોર્ટ્સ ક્ષેત્રે અગ્રીમ સ્થાન પર
અમિત શાહે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલ ખેલ મહાકુંભની યાત્રા આજે દેશમાં 'ખેલો ઇન્ડિયા' થકી આગળ વધી છે. તેમણે અમદાવાદને સ્પોર્ટ્સ હબ તરીકે વિકસાવવાના પ્રયાસોની પ્રશંસા કરી.
"વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનવા સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓ થઈ છે. જેના પગલે કોમનવેલ્થ 2030ની યજમાની અમદાવાદને મળી છે."
અમિત શાહે વધુમાં ઉમેર્યું કે, આગામી 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનોની રમત અને 13 જેટલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સાથે 2036 ઓલિમ્પિક માટે પણ અમદાવાદે તૈયારી શરૂ કરી દીધી છે.
દેશમાં દરેક ક્ષેત્રે વિકાસની યાત્રા
અમિત શાહે PM મોદીના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલા વિકાસની વાત કરી.
- ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક સાકાર થઈ રહ્યો છે.
- એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી ધોલેરાનું નિર્માણ થઈ રહ્યું છે.
- ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ હાઈવે સુરત-ચેન્નાઈ હાઇવે ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે.
તેમણે CM ભૂપેન્દ્ર પટેલનો આભાર માનતા કહ્યું કે, 1500 કરોડથી વધુના વિકાસના કામો માટે રાજ્ય સરકારે કાળજી રાખીને નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને આગળ ધપાવી છે.












Click it and Unblock the Notifications
