ગેહલોતે પરવાનગી વગર કરી સભા, થઇ કાનૂની કાર્યવાહી
અશોક ગેહલોતે નરોડા પાટીયા ખાતેની કડવા કચ્છ પાટીદારની વાડીમાં સભાને સંબોધી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોએ પણ હાજરી આપી હતી. પોલીસનું કહેવું છે કે આ સભા સ્નેહમિલનની હોવા છતા તેનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવ્યો.
પોલીસે આ અંગે વાંધો ઉઠાવીને રાજકીય સભાની મંજૂરી વગર રાજકીય સભાનું આયોજન કરવા બદલ આયોજક સામે કાનૂની પગલાં ભરવાની કાર્યવાહી કરી હતી. આયોજક ગીરવરસિંહ ભવરસિંહ શેખાવતે મંજૂરી માટેના કાગળીયા બતાવ્યા હતા, પરંતું આ મંજૂરીપત્રો રાજસ્થાન સમાજની સભા માટેના હતા. અને તેમણે માત્ર લાઉડસ્પીકરના ઉપયોગની જ પરવાનગી માંગી હતી માટે તેમની અટકાયત કરીને પોલીલે કાર્યવાહી હાથ ધરી હતી.
અશોક ગેહલોતે નરોડા ખાતે જાહેરસભાને સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં કામ કરતા નથી પણ માર્કેટિંગ સારું કરે છે. કામ કરવા કરતાં તેમને પબ્લિસિટી કરતાં સારી આવડે છે.'