'અમૂલ'માંથી વિપુલ ચૌધરીને હટાવવા અવિશ્વાસની દરખાસ્ત
વડોદરા, 24 ઓક્ટોબર : સહકારી ક્ષેત્રમાં દેશભરમાં ડંકો વગાડનારી અમૂલ બ્રાન્ડમાં ફરી ઉથલપાથલ થવાની તૈયારી થઇ રહી છે. ગુજરાતની સહકારી ક્ષેત્રની સમગ્ર દેશમાં નામના ધરાવતી સંસ્થા ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ) ના અધ્યક્ષ પદેથી પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને હટાવવા તખ્તો તૈયાર થઇ ગયો છે.
વિપુલ ચૌધરીની સામે બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા અવિશ્વાસ દરખાસ્ત મુકાયાનું જાણવા મળે છે. આગામી 26 ઓક્ટોબર, 2013ના રોજ મેનેજીંગ ડિરેકટર સોઢીએ બોર્ડ બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચૌધરીના ભાવિનો ફેસલો થશે.

નોંધનીય છે કે આ પહેલા પણ અમૂલમાં અવિશ્વાસની દરખાસ્ત આવી ચૂકી છે. વર્ષ 2010માં તત્કાલિન ચેરમેન પરથી ભટોળ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવીને તેમને ચેરમેન પદ છોડવા મજબૂર કરવામાં આવ્યા હતા. આ પહેલા 2006માં અમૂલના સ્થાપક અને ચેરમેન ડૉ વર્ગીસ કુરિયન સામે પણ અવિશ્વાસની દરખાસ્ત લાવીને તેમને દૂર કરવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ એક વર્ષથી વધુ સમયથી વિપુલ ચૌધરીએ અમૂલનું સુકાન સંભાળ્યુ છે. ટુકા ગાળામાં તેમની કાર્યપધ્ધતિ સામે સાથીદારોએ વાંધો ઉઠાવ્યો છે. તેઓ મનસ્વી નિર્ણય લેતા હોવાનો અને વહિવટી તંત્ર સાથે પણ તેમનો તાલમેલ નહીં હોવાનો આરોપ તેમની સામે લગાવવામાં આવ્યો છે.
રાજયની 13 જીલ્લા ડેરીઓના અધ્યક્ષ આ ફેડરેશનના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં સ્થાન ધરાવે છે. કુલ 16 બોર્ડ સભ્યો પૈકી 13 જેટલા સભ્યોએ વિપુલ ચૌધરી સામે મોરચો માંડયો છે. અવિશ્વાસ દરખાસ્ત પસાર કરી તેમને પદ પરથી હટાવવાની જોરશોર તૈયારી ચાલી રહી છે. વિપુલ ચૌધરી સામે અવિશ્વાસ દરખાસ્ત મુકાવવાની ઘટનાએ સહકારી ક્ષેત્રે ખળભળાટ મચાવ્યો છે. સહકારી ઉપરાંત રાજકીય ક્ષેત્રે પણ તેના પડઘા પડશે તેમ આ ક્ષેત્રના લોકોનું માનવું છે.












Click it and Unblock the Notifications
