'કોંગ્રેસની રાવણની સેનાએ ભાજપના હનુમાનથી ડરવું જ પડશે'
અમદાવાદ, 9 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તુલના વાંદરા સાથે કરનાર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કર્યું છે કે ' નરેન્દ્ર મોદીની સરખામણી વાંદરા સાથે કરવાથી ભારતીય જનતા પાર્ટીને માઠૂં કેમ લાગી રહ્યું છે? વાંદરાઓ તો રામના દૂત હતા. ભાજપને રામના દૂતથી આટલો વાંધો કેમ?'
જોકે અર્જુન મોઢવાડિયાના ટ્વિટ પર તેમના જ એક ફોલોવર્સે કોમેન્ટ કરી છે કે 'ઠીક છે... હવે કોંગ્રેસની સુરપંકા, રાવણ, કુંભકર્ણ અને મેઘનાથની સેનાએ ભાજપના હનુમાનથી ડરવું જ પડશે'
આ અંગે ભાજપે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું હતું કે 'કોંગ્રેસ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહી છે. મોદીની વાંદરા સાથેની સરખામણી એ મોદીનુ નહી પરંતુ સમગ્ર ગુજરાતનું અપમાન છે અને ગુજરાતની જનતા કોંગ્રેસને આનો જડબાતોડ જવાબ વિધાનસભાની ચૂંટણીમાં જરૂર આપશે. કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની માફી માગે.'
તેમણે જણાવ્યું હતું કે 'ગુજરાતનો આર્થિક વિકાસ, સુશાસન અને બિન ભ્રષ્ટાચાર તરીકે ઉભરી આવતા કોંગ્રેસ હતપ્રભ થઇ ગઇ છે. તેમની પાસે ચૂંટણી માટે કોઇ મુદ્દો રહ્યો નથી માટે તેઓ અભદ્ર વાણી ઉચ્ચારી રહ્યા છે.'