મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, જાણો શું ચર્ચા થઈ?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ આગામી વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંગે ચર્ચા કરી અને સાથે જ તાજેતરમાં જાહેર થયેલા GST સુધારાઓ માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર આ મુલાકાત વિશે માહિતી આપતા જણાવ્યું કે, નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને મળવાનો એક ખૂબ જ આનંદદાયક અવસર મળ્યો. મોદી સાહેબના નેતૃત્વ હેઠળ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દ્વારા ગુજરાત રોકાણકારો માટે સૌથી પસંદગીનું રોકાણ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, આ સફળતાથી પ્રેરાઈને અને વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ગુજરાતના વિવિધ ઝોન માટે વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરશે. આ સંદર્ભે મને વડાપ્રધાનનું અમૂલ્ય માર્ગદર્શન મળ્યું.
વધુમાં મુખ્યમંત્રીએ GST દરોમાં ઘટાડાના નિર્ણય બદલ વડાપ્રધાનનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, ગુજરાતના તમામ નાગરિકો વતી હું કેન્દ્ર સરકારના GST દરોમાં નોંધપાત્ર ઘટાડો કરવાના નિર્ણય બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરું છું. આ નિર્ણયથી દેશભરના કરોડો લોકોને તેમના દૈનિક ઘરખર્ચમાં બચત થશે અને તેઓ વધુ આરામદાયક જીવન જીવી શકશે.
ઉલ્લેખનીય છે કે, નાણા મંત્રીની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં 12% અને 28% ના GST સ્લેબ નાબૂદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ બદલાયેલા દરો 22 સપ્ટેમ્બરની અમલમાં આવશે.












Click it and Unblock the Notifications
