અમદાવાદને ભડકે બળ્યું, હવે કહે છે વિરોધની જરૂર નથી!
અમદાવાદમાં ઠેર ઠેર આગચાંપી અને તોડફોડ પછી કરણી સેનાએ ફિલ્મ જોઇને ક્યું વિરોધ કરવાની જરૂર નથી, તો આવો વિરોધ કેટલો યોગ્ય? વાંચો વધુ આ અંગે અહીં.
અમદાવાદમાં મંગળવારે મોડી રાતે પદ્માવત ફિલ્મના વિરોધની આડમાં કેટલાક અસામાજિક તત્વોએ તોફાનો કરીને અમદાવાદને બાનમાં લીધું. લગભગ 30 જેટલી બાળકો બાળવામાં આવી અને ડઝન જેટલી ગાડીઓને પણ આગ ચાંપી અને કાચ તોડફોડ કરવામાં આવ્યા. અસામાજિક તત્વોએ અમદાવાદના ત્રણ જાણીતા મોલને નીશાને બનાવ્યા. ત્રણેય મોલમાં કાચની તોડફોડ અને ભારે નુક્શાની કરવામાં આવી. સ્થિતિ એવી વણસી કે હિમાલયા મોલમાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. એટલું જ નહીં વસ્ત્રાપુરમાં તો એમ્બ્યુલન્સને પણ નિશાને બનાવાની ખબરો આવી હતી. સાથે જ અસામાજીક તત્વો દ્વારા પોલીસ અને સોસાયટીઓમાં પથ્થર મારો કરવામાં આવ્યો હતો. કાયદા અને વ્યવસ્થાના લીરે લીરે ઉડ્યાં હતા.
ભારે નુક્શાન
નોંધનીય છે કે આ તમામ વાતની શરૂઆત અમદાવાદના ઇસ્કોન મંદિર આગળ યોજવામાં આવેલી કેન્ડલ લાઇટ માર્ચથી થઇ. જ્યાં 1500 જેટલા લોકો કેન્ડલ માર્ચ કરવા આવી પહોંચતા ટ્રાફિકની ભયંકર સમસ્યા સર્જાઇ હતી. પણ અચાનક જ એક હિંસક ટોળું કાબુની બહાર પહોંચ્યું અને તેણે ઇસ્કોન મંદિરથી તબક્કાવાર વસ્ત્રાપુર તળાવ સુધી શો રૂમ- થિયેટર અને મલ્ટીપ્લેક્સને નિશાને બનાવ્યા. મોલમાં ખરીદી કરવા આવેલા નિર્દોષ લોકોના પણ જીવ આ કારણે તાળવે ચોંટ્યા. મોલના કર્મચારીઓ દુકાનોમાં જ અંધારું કરી છુપાઇ રહ્યા.
કરણી સેનાનું નિવેદન
આ તમામની વચ્ચે કરણી સેનાના આગેવાન સુરેશ ચૌહાણનું નિવેદન આવ્યું છે. સુરેશ ચૌહાણે કરણી સેનાના આગેવાન તરીકે સંજય લીલા ભણસાળીના આગ્રહ પર રિલિઝ પહેલા પદ્માવત ફિલ્મ જોઇ. અને તે પછી તેમણે જણાવ્યું કે "સંજય લીલા ભણસાળીને ઝૂક્યા, જીત્યા રાજપૂત" આ ફિલ્મ જોયા પછી તેમને આ ફિલ્મમાં કંઇ પણ આપત્તિ જનક ના લાગતા તેમણે રાજપૂતોને આંદોલન ન કરવાની કોઇ જરૂર નથી તેમ જણાવ્યું છે. તેમણે કહ્યું કે ફિલ્મોમાં ધણા ફેરફાર કરવામાં આવ્યા છે. અને હવે કોઇને આપત્તિ હોય તો ફિલ્મ જોયા પછી કરે. બાકી હવે વિરોધની જરૂર નથી. સાથે જ તેમણે કહ્યું કે કરણી સેના જેવું ઇચ્છતી હતી તેવા બદલાવ ફિલ્મમાં થયા છે. ઘૂમર ગીતમાં પણ હવે કોઇ પુરુષ નથી. અને ખીલજીના પાત્ર સામે પણ વાંધો લેવા જેવું કંઇ નથી. જો કે તેમ છતાં આ મામલે તે આજે તેમની ભૂમિકા વધુ સ્પષ્ટ કરશે.
આવો વિરોધ યોગ્ય છે?
આમ અમદાવાદને જે ફિલ્મ માટે બાનમાં લેવામાં આવ્યું. તોડફોડ અને આગચાંપી કરીને જે ફિલ્મ માટે મોટો પ્રમાણમાં નુક્શાન કરવામાં આવ્યું તે મામલે હવે એક નવો વળાંક આવ્યો છે કે આ ફિલ્મમાં કંઇ વાંધાજનક નથી. ત્યારે સવાલ તે ઊભો થાય છે કે વિરોધના નામે એક શહેરને બાનમાં લેવું, તોડફોડ અને આગચાંપી કરવી, બસો સળગાવવી, સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરવું અને ખાનગી અને સહકારી મિલકતને નુક્શાન પહોંચાડવું કેટલું યોગ્ય? શું આમાં તે મુશ્કેલીમાં ફસાયેલા કે હેરાન થયેલા નિર્દોષ લોકોનો કોઇ વાંક હતો? તો પછી આવો વિરોધ કેટલો યોગ્ય?