ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા હવે કૉંગ્રેસનો હાથ થામશે !
રાજ્યમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે, અત્યારથી જ આયારામ ગયારામની પ્રક્રિયા તેજ થઇ ગઇ છે. ભાજપ કૉંગ્રેસના અસંતુષ્ટો વિપક્ષી દળો સાથે તાલમેળ લગાવવામાં લાગી ગયા છે.
રાજ્યમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે, અત્યારથી જ આયારામ ગયારામની પ્રક્રિયા તેજ થઇ ગઇ છે. ભાજપ કૉંગ્રેસના અસંતુષ્ટો વિપક્ષી દળો સાથે તાલમેળ લગાવવામાં લાગી ગયા છે. ખાસ કરીને કૉંગ્રેસના નેતાઓને ભાજપમાં ભેળવવા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી ભાજપ મિશન 6 પાર પાડવા લાગી ગયું હોય તેમ જોવા મળી રહ્યું છે.
કલસરિયાનો કૉંગ્રેસ પ્રવેશનો તખ્તો તૈયાર
રાજકીય પક્ષોએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે, તાજેતરમાં કોંગ્રેસના સિનિયર નેતા કુવરજી બાવળીયાને ભાજપમાં લીધા પછી તરત મંત્રી પદ પણ આપી દીધુ છે, હવે કોંગ્રેસે પણ સૌરાષ્ટ્રમાં ખમતીધર નેતાની શોધમાં છે. ત્યારે, હવે ભાજપના પુર્વ ધારાસભ્ય ડૉ કનુ કલસરીયાને કોંગ્રેસમાં સામેલ કરવાનો તખ્તો ગોઠવાઇ ગયો છે, સંભાવના એવી છે કે રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત બાદ તેની જાહેરાંત કરવામાં આવશે. તો હવે 2012માં અને 2017માં વિધાનસભાની ચુંટણીમાં અટકી ગયેલી ડૉ. કનુ કલસરિયાની રાજકિય ચર્ચા આગળ વધી શકે છે. તેમને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ભાવનગર પંથકમાં મુખ્ય ચહેરા તરીકે આગળ કરી શકાય છે.
રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાશે
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સાથે ડૉ. કનુ કલસરીયા છેલ્લાં કેટલાંક દિવસથી એકબીજાના સંપર્કમાં છે. 2017ની ચુંટણી પહેલા જ ડૉ કલસરીયા કોંગ્રેસમા સામેલ થવાના હતા. પણ કોઈક કારણસર મડાગાંઠ પડતા વાત આગળ વધી ન્હોતી. ત્યારે, ડૉ. કલસરીયા અને કોંગ્રેસ હવે એક મત ઉપર આવ્યા છે. ત્યારે હવે, રાહુલ ગાંધી અમદાવાદમાં આવે ત્યારે તેમની હાજરીમાં કલસરીયા કૉંગ્રેસનો ખેસ ધારણ કરી શકે છે. 2019ની લોકસભાની ચુંટણી પહેલાં ડૉ. કનુ કલસરીયાનો કોંગ્રેસ પ્રવેશ મહત્વનો માનવામાં આવે છે. સંભાવના એવી પણ છે કે કલસરીયા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે પણ જાહેર કરવામાં આવે.
નિરમા સામે આંદોલન કરી ભાજપના વિરોધી બન્યા
અત્યંત પ્રામાણિક અને સેવાભાવી ડૉકટર અને સાદગીપુર્ણ નેતાની છાપ ધરાવતા ડૉ કલસરીયાએ નિરમા સામે એક જનઆંદોલન કર્યુ હતું, જો કે આ જનઆંદોલનને કોંગ્રેસ અને ભાજપમાંથી કોઈએ ટેકો આપ્યો ન્હોતો. કનુ કલસરિયા નિરમાને આપેલી જમીનના મુદ્દે આંદોલન કરીને પોતાની પાર્ટીના વિરોધી બની ગયા હતા. કનુ કલસરિયાએ નિરમા જમીન સામે આંદોલન કરતાં ભાજપે તેમને ટિકિટ આપી હતી નહોતી. તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ત્યાર બાદ આપ છોડ્યા બાદ આખરે હવે કૉંગ્રેસમાં જોડાઇ શકે છે.