ગુજરાત સાથેની મિત્રતાના નિર્ણયને બ્રિટનના આગેવાનોનો આવકાર

નરેન્દ્ર મોદી અને ગુજરાત સાથે સંબંધો સુધારવાના બ્રિટન સરકારના પગલાંને હાઉસ ઓફ લોર્ડ્સના સભ્યોએ, અગ્રણી કટાર લેખકો, નેટિઝન્સ, ભાજપ અને યુકેની લેબર પાર્ટીએ પણ સમર્થન આપ્યું છે.
આ અંગે યુકેની કન્ઝર્વેશન પાર્ટી વતી હ્યુગો સ્વીરે જણાવ્યું કે "બ્રિટન સરકારે ગુજરાત સાથેના સંબંધો વધારે ગાઢ બનાવવાના નિર્ણયને અમે આવકારીએ છીએ." આ વાતને લેબર પાર્ટીએ પણ આવકારી હતી.
લેબર પાર્ટીના સાંસદ બેરી ગાર્ડિનરે જણાવ્યું કે "હું આ પગલાંને સમર્થન આપું છે. બ્રિટિશ કંપનીઓ ગુજરાત સાથે એટલો વેપાર કરે છે કે ભારતના બીજા રાજ્યોના કુલ વેપારનો આંક ગુજરાત એકલા સાથેના વેપાર જેટલો થાય છે. નરેન્દ્ર મોદીએ કરેલા અભૂતપૂર્વ વિકાસને કારણે ભારતના અન્ય રાજ્યોને ઇર્ષા આવે એવી સ્થિતિ ઉભી થઇ છે."
ગાર્ડિનરે વર્ષ 2009માં પોતાની ગુજરાત મુલાકાતને યાદ કરતા જણાવ્યું કે "ગુજરાતના વિકાસથી હું પ્રભાવિત થયો છું. મેં મારી જાતે ગુજરાતના અંતરિયાળ ગામોમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓનું અમલીકરણ જોયું છે. ગ્રામીણ વિસ્તારોમાં વીજળીના જોડાણ માટેનું કાર્ય સરાહનીય છે. આ કારણે ખરા અર્થમાં સમૃધ્ધિ આવી છે."
હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય લોર્ડ ગુલામ નૂને જણાવ્યું કે "મને ખરેખર એ વાતનો આનંદ છે કે બ્રિટિશ સરકારે ગુજરાતનું અને તેના વિશેષ વ્યક્તિત્વ ધરાવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના દીર્ધદ્રષ્ટિવાળા નેતૃત્વનું મહત્વ સ્વીકાર્યું છે."
જાણીતા શિક્ષણવિદ લોર્ડ ભીખુ પારેખે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે "આ પગલું એ હકીકતને માન્ય ઠેરવે છે કે ગુજરાતની બાદબાકી કરીને બ્રિટન ભારત સાથે વેપાર કરી શકે નહીં.
આ મુદ્દે પાવાગઢમાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાના સમાપનમાં નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષ સાથેના સંબંધોમાં યુકેને ગુજરાતનું મહત્વ સમજાયું અને તેમણે નિર્ણય લીધો કે રાજ્ય સાથે મળીને કામ કરવું. તેમણે એમ પણ જણાવ્યું કે યુકેને એ પણ સમજાયું છે કે આપણા વડાપ્રધાન પાસે શું નથી!
ભાજપના મહાસચિવ રવિશંકર પ્રસાદે પગલાંને આવકારતા જણાવ્યું કે "વિદેશી મીડિયા જ્યારે વડાપ્રધાન મનમોહન સિંહને 'અંડરએચિવર' ગણાવી રહ્યું છે, ત્યારે આ પગલું એક સકારાત્મક સંકેત લઇને આવ્યું છે."












Click it and Unblock the Notifications
