બીએસએફે ભારતીય બોર્ડરમાં આવેલા પાકિસ્તાની બાળકને પરત કર્યો
ગાંધીનગર, 22 ડિસેમ્બર: બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનોએ 4 વર્ષના તે પાકિસ્તાની બાળકને તેના વાલીઓ પરત આપ્યો જે ભૂલથી ભારતીય બોર્ડરમાં પ્રવેશ કરી ગયો હતો. બીએસએફના ડેપ્યુટી કમાંડેંટ (ભૂજ રેંજ) હિમાંશુ ગૌડે રવિવારે પીટીઆઇને જણાવ્યું હતું કે ''શુક્રવારે રાત્રે બીએસએફની એક ટુકડીએ બોર્ડરની ચોકી પાસે એક છોકરાને જોયો. અમે તેને અમારી સાથે લઇને આવ્યા અને તેને જમાડ્યું, કપડાં અને રમકડાં આપ્યા. કાલે અમે તેને પાકિસ્તાનમાં તેના વાલીઓને સુરક્ષિત પરત કર્યો.''
બીએસએફે પાકિસ્તાની રેંજરોની સાથે ફ્લેગ મીટિંગ કરી જેમાં લેફ્ટિનેંટ કર્નલ બેગ મિર્ઝા લાયક અને રેંજરના ડેપ્યૂટી ઇંસ્પેક્ટર તારિકે પોતાના તરફથી આભાર વ્યક્ત કર્યો. બીએસએફના એક આધિકારિક નિવેદન અનુસાર બાળકની ઓળખ અલી સજ્જન ગૌહરના રૂપમાં થઇ જે પાકિસ્તાનના સિંધ પ્રાંતના બદીન જિલ્લામાં દંડારી ગામનો રહેવાસી છે.
નિવેદન અનુસાર 20 ડિસેમ્બરની રાત્રે, બીએસએફની એક ટુકડીએ આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક 100 ગજ દૂર ભારતીય ક્ષેત્રમાં બોર્ડરવર્તી ચોકી પાસે એક બાળકને રડતાં જોયો. નિવેદન અનુસાર ટુકડીના કમાંડરે બાળકને ચુપ કરાવ્યો અને તેને ચોકી પર લઇ ગયા અને તેને દૂધ તથા બિસ્કિટ ખવડાવી.
નિવેદન અનુસાર બાળક વધુ બોલી શકતો ન હતો અને તે ફક્ત સિંધી બોલતો હતો જેને જવાનો સમજી શકતા ન હતા. પછી પાકિસ્તાની રેંજરોને બાળક વિશે જાણકારી આપવામાં આવી. ત્યારબાદ બંને દળો વચ્ચે ફ્લેગ મીટિંગ આયોજિત કરવામાં આવી અને બાળકને તેના પિતા સજ્જન ગૌહરને સોંપવામાં આવ્યો.