Budget 2026 : મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે સરકાર બજેટમાં કરી શકે છે 5 મોટી જાહેરાત
આગામી 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2026નું કેન્દ્રીય બજેટ રજૂ કરશે, જેના પર દેશભરની નજર ટકેલી છે. પ્રાપ્ત સંકેતો મુજબ, સરકાર આ વખતે મધ્યમ વર્ગ, ખેડૂતો અને વૃદ્ધોને આર્થિક રાહત આપવા માટે પાંચ મોટા ફેરફારો કરી શકે છે.
બજેટમાં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની રકમ 6,000 થી વધારીને 9,000 કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. મોંઘવારીને જોતા આ વધારો અંદાજે 11 કરોડ ખેડૂત પરિવારોને ખેતીના ખર્ચમાં સીધી મદદ પૂરી પાડશે તેવું માનવામાં આવે છે.

રેલવે ક્ષેત્રે મુસાફરોને વેઇટિંગ લિસ્ટની સમસ્યામાંથી મુક્તિ આપવા માટે 300 થી વધુ નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનોની જાહેરાત થઈ શકે છે. સરકારનું લક્ષ્ય 2030 સુધીમાં દરેક મુસાફરને કન્ફર્મ ટિકિટ આપવાનું છે, જેની બ્લૂ પ્રિન્ટ આ બજેટમાં જોવા મળશે.
નોકરિયાત વર્ગ માટે ટેક્સમાં રાહત આપતા સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 75,000 થી વધારીને 1 લાખ કરવામાં આવે તેવી આશા છે. જો આવું થશે તો 13 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોએ કોઈ પણ ટેક્સ ચૂકવવો નહીં પડે, જે મધ્યમ વર્ગ માટે મોટી બચત હશે.
ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે 'પીએમ સૂર્ય ઘર યોજના' હેઠળ સોલાર પેનલ પરની સબસિડીમાં મોટો વધારો કરવાની તૈયારીઓ ચાલી રહી છે. 2 કિલોવોટ સુધીની સિસ્ટમ પર સબસિડી વધવાથી સામાન્ય લોકોના વીજળી બિલ શૂન્ય થશે અને પર્યાવરણને પણ લાભ થશે.
આરોગ્ય ક્ષેત્રે આયુષ્માન ભારત યોજનાનો વ્યાપ વધારીને 60 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને તેમાં આવરી લેવાનો પ્રસ્તાવ બજેટમાં આવી શકે છે. મફત સારવારની મર્યાદા 5 લાખથી વધારવામાં આવે તો સામાન્ય પરિવારોને મોંઘા ઓપરેશન અને સારવારમાં આર્થિક સુરક્ષા મળશે.
નિષ્ણાતોનું માનવું છે કે બજેટ 2026 સીધી આર્થિક સહાય અને લોકોની ખરીદશક્તિ વધારવા પર કેન્દ્રિત હશે, જે અર્થતંત્રને નવી ગતિ આપશે. હવે જોવાનું એ રહેશે કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રીના પટારામાંથી મધ્યમ વર્ગ માટે કેટલી રાહતો બહાર આવે છે.












Click it and Unblock the Notifications
