રાજ્યમાં c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વાર આચારસંહિતા ભંગની 1,326 ફરિયાદો મળી.
સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકે તે માટે લોન્ચ કરવામાં આવેલી c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ટીમ અને નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગર : સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકે તે માટે લોન્ચ કરવામાં આવેલી c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ટીમ અને નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે. c-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો 100 મિનીટમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા કુલ 1,326 ફરિયાદો મળી છે, તે પૈકી 1,322 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
નેશનલ ગ્રિવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ પોર્ટલ પર 2,575 ફરિયાદો
ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઈન ફરિયાદ માટે બનાવવામાં આવેલા નેશનલ ગ્રિવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ પોર્ટલ અત્યાર સુધીમાં 2,575 ફરિયાદો મળી છે. તે પૈકી 2,357 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
100 મિનીટમાં ફરિયાદનો નિકાલ
સામાન્ય પ્રકારની ફરિયાદો માટે નાગરિકો અન્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યાં છે. નાગરિકોની ફરિયાદો અને સુવિધા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા કંટ્રોલ રૂમના ફોન નંબર મારફતે અત્યાર સુધીમાં 115 ફરિયાદો મળી છે. તે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ કચેરીમાં મિડિયા સેલ ઊભો કરીને ટેલિવિઝન અને સોશિયલ મિડિયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રચાર માધ્યમો પરથી 52 ફરિયાદો મળી છે. જે પૈકી 47 ફરિયાદનો નિકાલ થયો છે.
ટપાલ કે ઈ-મેઈલ દ્વારા 416 ફરિયાદો મળી
આ કચેરીની ફરિયાદ શાખાને ટપાલ કે ઈ-મેઈલ દ્વારા અત્યાર સુધીમાં 416 ફરિયાદો મળી છે. તે પૈકી 387 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. એમ વિવિધ પ્રકારની કુલ 4,557 ફરિયાદો મળી છે, જેમાંથી 4,291 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. બાકી રહેલી 266 ફરિયાદોનો નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.