ગુજરાતના ચાર જિલ્લાઓને 13 ફેબ્રુઆરીથી કેશ સબસિડીનો લાભ મળશે

આ યોજના અંતર્ગત આધાર કાર્ડ ધરાવનરા રાંધણગેસના જોડાણધારકોને તેમના બૅન્ક એકાઉન્ટમાં સીધી સબસિડી મળી જાય તેવી યોજનાનો અમલ કરવા માટે કેન્દ્ર સરકારે ગુજરાતના આણંદ, વલસાડ, ભાવનગર અને મહેસાણા મળીના ચાર જિલ્લા પસંદ કર્યા છે. જો કે જેમની પાસે આધારકાર્ડ હશે તેમને જ રોકડ સબસિડીનો લાભ મળશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં 13 ફેબુ્રઆરી, 2013થી આ પાઈલોટ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે. આ માટે મહેસાણામાં આધાર કાર્ડ ઇશ્યૂ કરવા માટે 5 જાન્યુઆરી, 2013એ 12 જેટલા આધાર કાર્ડ સેન્ટર ચાલુ કરવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે.
પહેલું સિલિન્ડર તેઓ બુક કરાવશે તે સાથે જ તેમના ખાતામાં સીધી સબસિડીની રકમ જમા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ બીજું અને ત્યારબાદના સિલિન્ડર નોંધાવે અને તેની ડિલીવરી મેળવે ત્યારે તેની સબસિડી આધારકાર્ડને આધારે જમા કરાવી દેવામાં આવશે. સબસિડી મેળવવા પાત્ર વ્યક્તિ સિવાયની વ્યક્તિ તેનો લાભ ન લઈ જાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
વર્તમાનમાં આધાર કાર્ડ ધારકના બૅન્ક એકાઉન્ટમાં રાંધણગેસની કૅશ સબસિડી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમય જતાં તેના પર ખાતર કે કેરોસીન તથા ઇતર સબસિડીની રકમ પણ ખાતામાં રોકડેથી જમા કરાવી દેવામાં આવે તેવી સંભાવના છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આધાર કાર્ડ ઇશ્યૂ કરવા માટેના સેન્ટરો ચાલુ કરાશે.












Click it and Unblock the Notifications
