છોટાઉદેપુરઃ કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 4ના જીવ ભરખી ગયો
છોટાઉદેપુરઃ કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 4ના જીવ ભરખી ગયો
છોટાઉદેપુર જિલ્લાના છુછાપુરા ગામ નજીક રોડવેજની બસ અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો. બંને વાહનોની ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કુયડો વળી ગયો. આ દુર્ઘટનામાં કારચાલક સહિત 4 લોકોના મૃત્યુ થયાં છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્ત લોકોને કાર અને બસમાંથી બહાર કાઢ્યા.
પોલીસે જણાવ્યું કે, જે લોકોના જીવ ગયા છે, તેઓ તમામ મધ્ય પ્રદેશના ખરગૌનના રહેવાસી હતા. મૃતકોની ઓળખ ગ્યારસીલાલ પટેલ (36), દિનેશ પટેલ (43), ઈશ્વરલાલ બિરલા (46) અને રાજેશ દેવરામ (37) તરીકે થઈ છે. મળેલી માહિતી મુજબ એસટી બસ છોટાઉદેપુરથી કાલાવડ તરફ જઈ રહી હતી. બસ જ્યારે છુછાપુરા ગામ નજીક પહોંચી ત્યારે જ બોડેલી તરફથી સામે આવી રહેલી કારનો બસ સાથે અકસ્માત થયો. આ અકસ્માત અડધી રાત્રે થયો હતો.
બસ-કારની ટક્કર થવા પર બસના કંડક્ટર પ્રવીણ ડામોરે બસમાં સવાર યાત્રીઓને નીચે ઉતાર્યા. જ્યારે કારમાં સવાર લોકોની હાલત ગંભીર હતી. તેમાં બેઠેલા ચારેય લોકોના શરીર ફસાઈ ગયાં હતાં. આ ઘટના બાદ પોલીસે કારમાં સવાર ચારેય લોકોને બહાર કાઢ્યા. જો કે ચારેય લોકોના મોત થઈ ચૂક્યાં હતાં. આ મામલે બસચાલકે જ મામલો નોંધાવ્યો.