ચિદમ્બરમના ભાજપ પર આકરા પ્રહાર, મોરબી દુર્ઘટના અંગે ન તો કોઇએ માફી માંગી કે ન કોઇએ રાજીનામું આપ્યું
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. જે દરમિયાન ચિદમ્બરમે જણાવ્યું કે, મોરબી દુર્ઘટના અંગે હજુ સુધી કોઇએ માફી માંગી નથી, કે હજુ કોઇએ પણ રાજીનામુ આપ્યું નથી. આ ભયાનક દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.
ગુજરાત સરકાર દિલ્હીથી ચાલે છે - ચિદમ્બરમ
કોંગ્રેસ માટે પ્રચાર કરવા રાજ્યમાં આવેલા ચિદમ્બરમે તેમની રેલીમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ચિદમ્બરમે આરોપ લગાવ્યો કે, ગુજરાતની સરકાર દિલ્હીથી ચાલે છે અને તેના મુખ્યમંત્રી માત્ર મોહરા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જેની મતગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.
'મોરબી દુર્ઘટનામાં ન તો માફી માગી કે રાજીનામું આપ્યું'
ચિદમ્બરમે જણાવ્યું હતું કે, જ્યાં સુધી મને ખબર છે, આટલા મોટા અકસ્માત માટે કોઈએ માફી માંગી નથી અને કોઈએ રાજીનામું આપ્યું નથી. વિદેશમાં ક્યાંક આવું થયું હોત, તો તરત જ કેટલાયના રાજીનામા લઈ લેવાયા હોત.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આગળ જણાવ્યું હતું કે, જે રાજ્યોમાં લોકો સરકારને હરાવી દે છે, તેઓ જવાબદાર લાગે છે. હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે, આ સરકાર બદલો અને કોંગ્રેસને તક આપો.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગના પ્રશ્ન પર,ચિદમ્બરમે આરોપ લગાવ્યો કે, તેઓ ભાજપના નોકર છે. આવી એજન્સીઓ દ્વારા ધરપકડ કરાયેલા 95 ટકા લોકો વિરોધ પક્ષોના રાજકારણીઓ છે.
યુનિફોર્મ સિવિલ કોડ રાજ્યો દ્વારા લાગુ પડતો નથી
ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકારોએ યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવા માટે કમિટીની રચના કરવાની જાહેરાત કરવા અંગેનાપ્રશ્નના જવાબમાં ચિદમ્બરમે જણાવ્યું હતું કે, એક બાળક પણ જાણે છે કે, યુનિફોર્મ સિવિલ કોડ રાજ્યો દ્વારા લાગુ પડતો નથી, પરંતુ સંસદમાંપસાર કરાયેલા કાયદા દ્વારા લાગુ કરી શકાય છે.