સીએમ વિજય રૂપાણીએ 666 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું
સીએમ રૂપાણીએ 666 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વર્તમાન સરકારના સફળ સુશાસનના પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગરમાં શિક્ષણ અને મહિલા બાળ વિકાસ વિભાગના વિવિધ ૧૯૦૬ લોકાર્પણ અને ૩૬૩૨ ખાતમુહૂર્ત મળી રૂ. ૬૬૬ કરોડના કામોની ભેટ રાજયના વિદ્યાર્થી-શિક્ષણ જગતને ધરી છે. મુખ્યમંત્રીએ આજે એકસાથે ઈ-તકતી અનાવરણ દ્વારા પ્રાથમિક શાળાથી લઈને કોલેજ સુધીના ૫૧૭૯ વર્ગખંડો ૯ પોલિટેકનિક ભવનો અને ૩૫૦ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કર્યાં હતા.
વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સ
રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ અને પદાધિકારીઓ વિવિધ જિલ્લા-તાલુકામાં આ વિકાસ અવસરમાં જનસહયોગના સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરતાં આહવાન કર્યું કે, નવનિર્મિત વર્ગખંડો-ભવનોમાં સ્વચ્છતા જળવાય અને શાળા સંકુલ પણ મંદિર જેટલું જ પવિત્ર રહે તે દરેક વિદ્યાર્થી-વાલીનું દાયિત્વ બની રહેવું જોઈએ. આ સરકારે ભવિષ્યના ભારતનો અને ઉજજવળ આવતીકાલના નિર્માણનો સુદઢ પાયો આ પ્રકલ્પથી નાખ્યો છે.
કોંગ્રેસ પર પ્રહાર
શિક્ષણને વિકાસની આધારશિલા ગણતા તેમની સરકારે સંપૂર્ણ સંવેદના અને પારદર્શિતા સાથે વર્ગખંડો, શાળા, આંગણવાડી સહિતના કામો સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત થાય તેને અહેમિયત આપી છે. પ્રજાના એક-એક પૈસાનો સદુપયોગ થાય તેવી પારદર્શી અને ભ્રષ્ટાચારરહિત સિસ્ટમ વિકસાવી છે. અગાઉની કોંગ્રેસી સરકારોમાં વિકાસ કામો ટલ્લે ચઢી જતા અને સમયમર્યાદામાં પૂરા ન થતા એટલે મૂળ યોજના કરતા પાંચ છ ગણો ખર્ચ વધી જતો. ‘અમે સમયાવધિમાં કામ પૂર્ણ થાય એટલું જ નહીં ગુણવત્તાસભર થાય અને કયાંય કોઈ ગેરરીતિ ન થાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને પારદર્શિતા, સંવેદનશિલતા, નિર્ણાયકતાના આધાર ઉપર રાજયનું સેવાદાયિત્વ સંભાળ્યું છે' એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
સરકારનું ધ્યેય સર્વાંગી વિકાસલક્ષી
મુખ્યમંત્રીએ ૨૧ જિલ્લાના લાભાર્થી વિદ્યાર્થીઓ-વાલીઓ સાથે સંવાદ સાધતા કહ્યું કે, હવે સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓમાંથી બાળકો અભ્યાસ માટે આવે છે તેવું શ્રેષ્ઠ અને સુવિધાસભર શિક્ષણ ગુજરાતે આપ્યું છે. ગુજરાતને સુશાસનક્ષેત્રે દેશનું રોલમોડેલ બનાવવાની નેમ વ્યક્ત કરતાં કહ્યું કે, શિક્ષણ, આરોગ્ય, બાળવિકાસ સહિતના સર્વાંગી રીતે વિકાસ કરીને ગુજરાતમાં શાસન વ્યવસ્થા તેમજ સમાજ વ્યવસ્થા વચ્ચે સુશાસનની દિશા પ્રસ્થાપિત કરી છે.
21 જિલ્લામાં કર્યા લોકાર્પણ અને ખાતમુહૂર્ત
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમારી સરકારે લોકો માટે એકલ-દોકલ છુટક વિકાસના કામો નહીં, હોલસેલ વિકાસના કામો કરવામાં માને છે. આજનો પ્રસંગ તેનો સાક્ષી છે કારણ કે, આજે મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૬૬૬ કરોડના ૫,૫૩૮ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો આપણે એક સાથે ૨૧ જિલ્લામાં ટેકનોલોજીના માધ્યમથી સાકાર કરી રહ્યાં છીએ.
શિક્ષણના કાર્યમાં સરકાર કરે છે ખર્ચ
અમે તો પ્રજાએ જે કરવેરાના પૈસા ભર્યાં છે તેના ટ્રસ્ટી છીએ અને એ નાણા કયાં વપરાય છે તેની દેખરેખ રાખીએ છીએ. આજનો કાર્યક્રમ સ્વયં દર્શાવી આપે છે કે, શિક્ષણ જેવા મહત્વના કાર્યો માટે સરકાર માતબર રકમ પારદર્શિતાથી ખર્ચે છે તેમ પણ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
અટલજીના જન્મદિવસને મનાવાયો સુશાસન દિવસ
રાજ્યના શિક્ષણ વિભાગ અને મહિલા બાળ કલ્યાણ વિભાગના પૂર્વ પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણના રૂ.૬૬૬ કરોડના વિવિધ પ્રોજેક્ટના ઈ-લોકાર્પણ - ખાતમુહૂર્તના કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, આદરણીય સ્વ. અટલજીના જન્મદિવસને આપણે સુશાસન દિવસ તરીકે મનાવીએ છીએ, એટલું જ નહીં આ દિવસે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું છે ત્યારે આજનો દિવસ પ્રત્યેક ગુજરાતીઓ માટે પ્રેરક દિવસ છે કારણકે, આજે શિક્ષણ વિભાગના ૫૫૦૦થી વધુ વિકાસકામો-ખાતમુહૂર્ત આપણે ટેકનોલોજીના માધ્યમથી સંપન્ન કરી શકયા છીએ.
ગાંધીનગરઃ ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા વિસ્મય શાહ સહિત 6 નબીરાની ધરપકડ