અમદાવાદઃ વિજય રૂપાણીએ વાઈબ્રન્ટ નવરાત્રીનું ઉદ્ઘાટન કર્યું
અમદાવાદઃ વિજય રૂપાણીએ વાઈબ્રન્ટ નવરાત્રીનું ઉદ્ઘાટન કર્યું
અમદાવાદઃ ગુજરાતની આગવી ઓળખ એવો વિશ્વનો સૌથી લાંબો નૃત્ય-મહોત્સવ વાઈબ્રન્ટ નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે. સીએમ વિજય રૂપાણીએ આજે દીપક પ્રગટાવીને વાઈબ્રન્ટ નવરાત્રીનો પ્રારંભ કરી દીધો છે. જેની સાથે જ આજે અમદાવાદીઓ ગરમાની રમઝટ જમાવશે. જણાવી દઈએ કે વાઈબ્રન્ટ નવરાત્રી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાઈ રહી છે અને બીજી બાજુ પરપ્રાંતિયો પર થયેલા હુમલાને પગલે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાતી સંસ્કૃતિ મુજબ નવરાત્રીના નવ દિવસ સુધી અમદાવાદીઓ પરંપરાગત વેશભુષા ધારણ કરીને ગરબાનો આનંદ ઉઠાવશે.
અગાઉ વાઈબ્રન્ટ નવરાત્રીનું જાહેર થયેલ પોસ્ટરને લઈને પણ વિવાદ સર્જાયો હતો. જણાવી દઈએ કે વાઈબ્રન્ટ નવરાત્રીના પોસ્ટરમાંથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ગાયબ કરી દેવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં માત્ર સીએમ વિજય રૂપાણી અને પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો જ છાપવામાં આવ્યો હતો જેને પગલે વિજય રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું હોવાનું ભાજપના નેતાઓ માની રહ્યા હતા.
અગાઉ પણ રૂપાણી સરકારમાં અનેક વખત નીતિન પટેલનો ફોટો ગાયબ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે સીએમ અને નાયબ સીએમના આંતરિક મતભેદ વચ્ચે વાઈબ્રન્ટ નવરાત્રીના પોસ્ટરમાંથી નીતિન પટેલનો ફોટો ગાયબ થઈ જતાં ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ઉલ્લેખનીય છે કે આજે વાઈબ્રન્ટ નવરાત્રીના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિતના નેતાઓ હાજર રહ્યા છે. જણાવી દઈએ કે વાઈબ્રન્ટ નવરાત્રીમાં બહેનોને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે. ઉપરાંત અમદાવાદનાં મેયર બિજલબેન પટેલ સહિતનાં કેટલાય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.
આ પણ વાંચો- નવરાત્રીમાં ભૂલથી પણ ન કરતા આ કામ, નહિતર માતા થશે ક્રોધિત