સિંહોની સલામતી માટે લેવાયા આકરા નિર્ણય, સાવજને રંઝાડશો તો થશે સાત વર્ષની સજા
ગુજરાતની ઓળખ સમાન ગીરના સિંહોને રંઝાડવાના વધતાં જતાં બનાવોથી રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઇ છે.
ગુજરાતની ઓળખ સમાન ગીરના સિંહોને રંઝાડવાના વધતાં જતાં બનાવોથી રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઇ છે. રાજ્યની ઓળખ સમાન એશિયાટિક સિંહની સંરક્ષણ માટેની વ્યૂહરચના અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં વન અને પર્યાવરણના રાજ્યપ્રધાનની હાજરીમાં સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં સિંહના સંરક્ષણને માટે અગત્યના નિર્ણય લેવામાં આવ્યા હતા. સિંહોને રંઝાડનાર ઇસમને સાત વર્ષની સજાની જોગવાઇ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.
સિંહોનો રહેઠાણ વિસ્તાર જૂનાગઢ હેઠળ આવરી લેવાશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આ સમીક્ષા બેઠકમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે ઘણા અગત્યના નિર્ણય કરવામાં આવ્યા હતા. જેમાં, અમરેલી અને ભાવનગર જિલ્લામાં 109 ચો.કિ.મી. સરકારી માલિકીની પડતર જમીન જંગલ વિસ્તારને સંરક્ષણ અનામત તરીકે જાહેર કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. હાલમાં સિંહનો રહેણાંક વિસ્તાર જૂનાગઢ, જૂનાગઢ ક્ષેત્રિય અને રાજકોટ એમ ત્રણ વર્તુળમાં છે, જેમાં ફેરફાર કરીને સિંહોના રહેઠાણનો તમામ વિસ્તાર વન્યપ્રાણી વર્તુળ, જૂનાગઢ હેઠળ આવરી લેવા નિર્ણય કરાયો છે.
અમરેલી મથકમાં નવું ડિવિઝન ઉભું કરાશે
ગીર અભ્યારણ્ય બહાર રેવન્યુ અને નાના વન વિસ્તારમાં સિંહોનો કાયમી વસવાટ થયો હોવાથી અમરેલી મુખ્યમથકમાં નવું ડિવિઝન ઉભું કરાશે. જેમાં અમરેલી જિલ્લાના અમરેલી, લિલિયા, કુકાવાવ, જાફરાબાદ, રાજુલા અને ભાવનગર જિલ્લાના મહુવા, જેસર, પાલીતાણા અને તળાજા તાલુકાના વિસ્તારોને આ ઓફિસ હેઠળ આવરી લેવામાં આવશે.
સિંહને પઝવશો તો થશે આકરી સજા
ગેરકાયદે લાયન શો, સિંહોને પજવવા, વાહનો દોડાવવા અને વિડીયો ક્લિપીંગ બનાવવાના કિસ્સામાં આરોપી સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ, 1972ની કલમ-9 હેઠળ શિકાર જેવી ગંભીર કલમ લગાડવામાં આવી છે જેથી આરોપીને સાત વર્ષ સુધીની કેદ થઇ શકે છે.
સિંહોના રહેણાંક વિસ્તારમાં વાયરલેસ નેટવર્ક ઉભું કરાશે
અભ્યારણ્ય સિવાસના સિંહના રહેઠાણવાળા વિસ્તારોમાં નાકા અને વાયરલેસ નેટવર્ક ઉભું કરવામાં આવશે. આ વિસ્તારમાં વન્યમિત્રો તેમજ ટ્રેકર્સની નિમણુંક કરાશે. સેન્ચ્યુરી વિસ્તારની જેમ તાલીમ આપી ટ્રેકર તરીકે તૈયાર કરવામાં આવશે. સિંહોના સંરક્ષણ માટે સીધા સંકળાયેલા ક્ષેત્રિય અધિકારીઓને વધુ સગવડ અપાશે.
ગેરકાયદે લાયન શો પર લાગશે રોક
પોલીસ ખાતાની જેમ વન વિભાગમાં બાતમીદારોની પ્રથા શરૂ કરાશે કે જેથી ગેરકાયદે લાયન શો જેવી વિગતો મળી રહે. સ્થાનિક લોકોમાં સિંહના સંરક્ષણ માટે જાગૃતિ કેળવવા વિવિધ કામગીરી કરાશે. બૃહદ ગીર વિસ્તારમાં નેચર એજ્યુકેશન કેમ્પ પર ભાર મૂકાશે. રાજ્યસ્તકે વનમંત્રીના અધ્યક્ષસ્થાને સિંહોના રક્ષણ માટે સ્ટીયરીંગ કમિટીની રચના થશે. જિલ્લા સ્તરે કલેક્ટરના અધ્યક્ષસ્થાને મોનિટરીંગ કમિટી બનશે. સિંહ દર્શન માટે આવતા પ્રવાસીની સુવિધા માટે નીચે મુજબના નિર્ણયો લેવાયા. ગીર અભ્યારણ્યના પૂર્વ વિસ્તારમાં અમરેલીના ચીખલાકુબામાં સાસણ જેવો નવો ટુરિઝમ ઝોન બનશે.
ગીરનાર પર્વત પર સિંહ દર્શન માટે નવો ઝોન
ગીરનાર પર્વતમાં પણ સિંહો હોવાથી ત્યાં પણ સિંહ દર્શન શરૂ કવા ઝોન બનાવાશે. દેવળીયા સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે હાલ મીની બસ છે તે ઉપરાંત જીપ્સીની મંજૂરી અપાશે. સાસણ તેમજ આંબરડીમાં પ્રવાસીની સુવિધા વધારવા 30 કરોડના કામો ઝડપથી પૂર્ણ કરાશે. સાસણમાં સિંહદર્શન માટે આપવામાં આવતી પરમીટની સંખ્યા શનિ અને રવિવારમાં 50 થી વધારી 60 અને અન્ય દિવસોમાં 30 થી વધારી 50 કરાશે. એક જીપ્સીમાં છ પ્રવાસી હોવાથી સિંહદર્શન માટે સપ્તાહમાં 4500ની સંખ્યા વધારીને 6660 થશે. સાસણ ટુરિઝમ ઝોનમાં પ્રવાસી માટે 10 રૂટ છે, નવા રૂટ ઉમેરવા ટેક્નિકલ અભ્યાસ કરવામાં આવશે.