NRIsને સ્વરાજની હાકલ- 'કમ, કનેક્ટ, સેલિબ્રેટ ઍન્ડ કોન્ટ્રીબ્યુટ ફૉર ધ કન્ટ્રી'
ગાંધીનગર, 8 જાન્યુઆરી : વિદેશ મંત્રી સુષમા સ્વરાજ બુધવારે ગુજરાતના ગાંધીનગર, મહાત્મા મંદિર ખાતે પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) સંદર્ભે આયોજિત યુવા પીબીડીનો દીપ પ્રાગટ્ય કરાવીને શુભારંભ કરાવ્યો હતો. સુષમા સ્વરાજે ભારતને 'એક ભારત-શ્રેષ્ઠ ભારત' બનાવવા વિશ્વભરમાંથી પધારેલા બિન નિવાસી ભારતીયો(NRI)ને આહ્વાન કરતા જણાવ્યું હતું કે, બિન નિવાસી ભારતીયોના પૂર્વજો આ ધરતીના છે. તેમની પરંપરાઓ પણ ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે, કમ, કનેક્ટ, સેલિબ્રેટ ઍન્ડ કોન્ટ્રીબ્યુટ ફૉર ધ કન્ટ્રી, તેવી હાકલ કરી છે.
સુષમા સ્વરાજે જણાવ્યું હતું કે, વિદેશોમાં સ્થાયી થયેલા લાખો બિન નિવાસી ભારતીયોને ભારતમાતા સાથે જોડવા માટે પૂર્વ વડાપ્રધાન વાજપાઇએ 2003થી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી દ્વારા પ્રયાસ શરૂ કર્યો હતો. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી આજથી 100 વર્ષ પૂર્વે એટલે કે 9મી જાન્યુઆરી, 1915ના રોજ ભારત પરત ફર્યા હતા. આજે 2015માં ભારત વિશ્વભરમાં શક્તિશાળી દેશ તરીકે ઉભરી રહ્યો છે.
તેમણે પ્રધાનમંત્રી જનધન યોજના, સ્વચ્છ ભારત-હરિયાળુ ભારત, ડીજીટલ ઇન્ડિયા, ઇ ગવર્નન્સ, સ્માર્ટ સિટી વગેરે યોજનાઓમાં યોગદાન આપવા વૈશ્વિક યુવાઓને અપીલ પણ કરી હતી. વિશ્વના ખૂણે ખૂણે પ્રસરેલા ભારતીયોથી જ સમગ્ર વિશ્વમાં ભારત ધબકે છે, તેમ તેમણે જણાવ્યું હતું.