Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભાજપે 'ખુરશીભક્તિ' નહી પણ 'કૃષિભક્તિ' કરી ક્રાંતિ સર્જી છે: મોદી

દાહોદ, 28 મે: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ૪૦-પ૦ વર્ષના શાસનોમાં ભૂતકાળની ખુરશીભક્તિ કરનારી સરકારોએ ખેતી અને ખેડૂતની બરબાદી કરી એની આકરી ટીકા કરતા જણાવ્યું કે, અમારી સરકારે ખુરશીભક્તિ નહીં પણ કૃષિભક્તિ કરીને ખેતીવાડી આધારિત કૃષિક્રાંતિ કરી બતાવી છે.

લીમખેડાના વનવાસી ક્ષેત્રમાં કૃષિ મહોત્સવમાં ઉમટેલી આદિવાસી જનતાના આનંદમાં સહભાગી બનેલા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં સિંચાઇ માટે રૂા.૩,૪૦૦ કરોડનો સિંચાઇના પાણીનો ખાસ પ્રોજેકટ બનાવ્યો છે, તેમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતભરમાં ૧૪મી મેથી શરૂ થયેલા નવમા કૃષિ મહોત્સવ અભિયાન અંતર્ગત આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓના લીમખેડામાં યોજાયેલા કૃષિ મેળા અને પશુ આરોગ્ય મેળાનું ઉદઘાટન મુખ્યમંત્રીએ કર્યું હતું. દાહોદ જિલ્લાના લીમખેડામાં કિસાન અને પશુપાલકો સહિત આદિવાસીઓનો વિરાટ માનવ મહેરામણ કૃષિ મહોત્સવમાં ભાગ લેવા ઉમટયો હતો. વનવાસી ક્ષેત્રની આ વિરાટ કિસાનશક્તિનું અભિવાદન કરીને નરેન્દ્ર મોદીએ કૃષિના ઋષિ એવા ઉત્તમ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કર્યું હતું.

વિદેશમાંથી કૃષિ વિજ્ઞાનના સ્નાતક બનવા આણંદ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આદિવાસી ક્ષેત્રમાં મિશન મંગલમની સખીમંડળની બહેનોએ પણ કૃષિ મહોત્સવમાં પોતાનું કૌશલ્ય દાખવ્યું છે. તેમની સાફ્લ્યગાથાને નરેન્દ્ર મોદીએ બિરદાવી હતી. આખા ગુજરાતની ધોમધખતી ગરમીમાં પણ કૃષિ મહોત્સવની તપસ્યાનો યજ્ઞ કરી રહેલા કિસાનોની સાથે આ સરકાર ગામડા ખૂંદી રહી છે, જિલ્લે જિલ્લે ખેડૂતોના કલ્યાણનો પરિશ્રમ કર્યો છે તેમ તેમણે જણાવ્યું હતું.

narendra-modi-dahod

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ચૂંટણીમાં મત માટે રાજનેતાઓ ગામડામાં નીકળે એ ખુરશી માટેનો રાજકીય કાર્યક્રમ છે, પરંતુ ખેતી માટે, ખેડૂત માટે ખેતરે ખેતરે આ સરકાર ફરતી રહી છે તે ગુજરાતના કૃષિ મહોત્સવએ પૂરવાર કર્યું છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, જેમને ખુરશીમાં રસ હતો, તેમને ખેડૂતની ખુશીમાં રસ નહોતો. જેમણે ૫૦ વર્ષના શાસનમાં ખુરશીભક્તિ જ કરી તેમણે ખેડૂતોની દૂર્દશા કરી છે. અમે ખુરશી ભક્તિ નહીં, કૃષિભક્તિ કરીને ખેડૂતોની આવક બમણી કરી છે. દૂધ ઉત્પાદનના વેચાણમાંથી મળતી આવક પશુપાલન બહેનોના હાથમાં પહોંચી છે. નારીસશક્તિકરણનું સૌથી મોટું કામ ગ્રામ્ય વિસ્તારમાં દૂધના કુશળ કારોબારથી થયું છે, તેમ તેમણે જણાવ્યું હતું.

જમીનના ટુકડા થતા રહેતા હોય ત્યારે ગરીબ ખેડૂતે ટૂંકી ખેતીમાં દેવાદાર બનવાને બદલે ગ્રીનહાઉસ જેવી વૈજ્ઞાનિક ખેતી અને આધુનિક ખેતી કરવી પડશે તેનું માર્ગદર્શન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. નાના ખેડૂતોને ખેતીમાં પગભર બનાવ્યા સિવાય ખેતી વિકાસ થશે નહીં તેમ જણાવી મુખ્યમંત્રીએ ગુજરાતના આર્થિક વિકાસની સફળતા માટે રાજ્યના નાના ઉદ્યોગોના વિકાસની જેમ નાના-સિમાંત ટૂંકી આવક ધરાવતાં ખેડૂતોના આર્થિક વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે તેમ જણાવ્યું હતું.

વનબંધુ કલ્યાણ યોજના ગયા પાંચ વર્ષ માટે રૂા.૧૫,૦૦૦ કરોડની હતી. તે સફ્ળ બનતાં હવે રૂા.૪૦,૦૦૦ કરોડની અમલમાં મૂકી છે. તેની રૂપરેખા મુખ્યમંત્રીએ આપી હતી. હવે ગુજરાતમાં નવી પેઢીના લબરમૂછીયા જવાનો ખેતીમાં મોટી સંખ્યામાં જોડાઇ રહયા છે અને માત્ર પરંપરાગત ખેતી નહીં ઓર્ગેનિક ખેતી અને મૂલ્યવર્ધિત ખેતીમાંથી મબલખ આવક મેળવી રહયા છે તેના દ્રષ્ટાંતો તેમણે આપ્યાં હતાં.

આદિવાસી ક્ષેત્રના કૃષિ મહોત્સવથી ખેતી અને ખેડૂતની આર્થિક સ્થિતિમાં કેટલો મોટો બદલાવ આવ્યો છે. તેના દ્રષ્ટાંતો આપતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કુપોષણ દૂર કરનારી સરગવાની સિંગના વૃક્ષની ખેતીએ આદિવાસી ખેતીને પોષણની તાકાત આપી છે. એક વીધા જમીનમાં ગ્રીન હાઉસ બનાવીને સોનાના ભાવે વેચાતી કેસરની ખેતી વિકસાવી છે. આ બધી સફ્ળતા કૃષિ મહોત્સવથી આદિવાસી ખેડૂતો સુધી પહોંચાડવી છે.આદિવાસી ખેડૂત હવે ઉત્તમ ફૂલોની ખેતીથી ફૂલવાડીની સુવાસ હિન્દુસ્તાનમાં ફેલાવી રહ્યો છે. આ કૃષિ ક્રાંતિ નથી તો શું છે અવો પ્રશ્ન તેમણે કર્યો હતો.

મુખ્યમંત્રી એ જણાવ્યું કે આજથી ૧૦ વર્ષ પહેલા મધ્ય ગુજરાતના ગરીબ આદિવાસી ખેડૂતો રોજીરોટી માટે રસ્તાના બાંધકામમાં કાળી મજૂરી કરવા સ્થળાંતર કરી જતો પણ માંડ પેટીયું રળતો- આજે આદિવાસી ખેડૂતો ખેતી કરતાં થયા છે. ‘‘વનલક્ષ્મી યોજના'' આ સરકારે બનાવી તેમાં પોતાની જમીનની માલિકીમાં વૃક્ષો ઉછેરીને તેને કાપવાની મંજૂરી મેળવી હવે વૃક્ષ વેચી ડાંગના ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરતો થઇ ગયો છે. જંગલોમાં દવ લાગવાની ધટના હવે ગુજરાતમાં રહી નથી. કારણ કે જંગલના વૃક્ષોના સૂકા પાંદડામાંથી અળશીયાનું જૈવિક ખાતર બનાવીને આદિવાસી સખી મંડળની બહેનો આર્થિક પ્રવૃત્તિ માટે નવી શકિત મેળવી રહી છે.

પશુઓની કાળજી લેવા માટે પશુ આરોગ્ય મેળામાં આદિવાસી પશુપાલકો મોટી સંખ્યામાં ઉમટી રહયાં છે. તેની ભૂમિકા આપતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જીવદયાના સંસ્કારને વરેલી આ ધરતીની સરકારે પશુઓને પીડામાંથી મુકત કરવા લેસર-પધ્ધતિથી શસ્ત્રક્રિયા કરવાની પધ્ધતિ આ પશુ આરોગ્ય મેળાએ વિકસાવી છે. જે લોકો રાજકારણમાં જૂઠ્ઠાણાં ફેલાવ્યા કરે છે તેમને કૃષિ મહોત્સવની સફ્ળતા કયારેય સમજાવાની નથી તેમ તેમણે જણાવ્યું હતું. આજે આ સરકાર આદિવાસીની જિંદગી ખેતી ક્ષેત્રે ક્રાંતિ લાવીને બદલી છે.

દાહોદ જિલ્લાની સખી મંડળની બહેનોને અભિનંદન આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે બજારમાં રૂા.૧૬૦ નું મકાઇનું બિયારણ મળતું તે સખીમંડળની બહેનોએ તાલીમ લઇને મકાઇનું સુધારેલું બિયારણ તૈયાર કર્યું જે રૂા.૩૦ માં વેચે છે અને છતાં નફો મેળવે છે. મુખ્યમંત્રીએ માત્ર નિયમિત ખેતી જ નહીં તેની સાથે પશુપાલન અને વૃક્ષની ખેતી કરીને જીવનમાં કયારેય આર્થિક પરેશાની કે દેવું નહીં કરવું પડે. આ સરકારે કૃષિને સમાજવિજ્ઞાન સાથે જોડી છે.

દિકરીનો જન્મ થાય ત્યારે એક વૃક્ષ વાવીને તેને દીકરીના ઉછેર સાથે ઉછેરીને દીકરીના લગ્નનો બધો ખર્ચ આ ઉછરેલા વૃક્ષના વેચાણથી થઇ શકે છે. તેથી દીકરીના લગ્નનો કોઇ બોજ ગરીબ પરિવાર ઉપર પડતો નથી. આવું કૃષિ આધારિત અર્થવ્યવસ્થાપન આ સરકારે વિકસાવ્યું છે. છેલ્લા નવ વર્ષથી દિલ્હીમાં બેઠેલી કેન્દ્રની વર્તમાન સરકારે ખેતીવાડી માટે ખાતરનું એક કિલો ઉત્પાદન પણ વધાર્યું નથી. એટલું જ નહીં, ગુજરાતના ખેડૂતોને જરૂરિયાત પુરતું ખાતર આપવામાં ધરાર અન્યાય કરે છે, તે માટે આક્રોશ કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના શિક્ષણમંત્રીભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ થકી રાજ્યના ખેડૂતોને ખેતીના આધુનિક માર્ગદર્શન સાથેની સંપૂર્ણ માહિતી ગામ અને ખેતર સુધી પહોંચતી થઇ છે. જેને કારણે આજે ખેડૂતો આધુનિક ઢબે ખેતી કરતા થયા છે. કૃષિમાં પાયાનું અને મહત્વનું પરિબળ ઓઇલ હેલ્થ કાર્ડ બની રહ્યું છે. ધરતીની તંદુરસ્તી બની રહેશે તો જ તેના પર ઉત્પન્ન થતી ખેતી તંદુરસ્ત હશે અને આવી સમજ કેળવેલા ખેડૂતોનું આજે સન્માન સાથે ર રાજ્ય સરકાર અભિવાદન કરી રહી છે.

રાજ્ય સરકારે ખેતીના દર-બ-દર વિકાસ માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીના ઉપયોગી ખેતી સંશોધનોને ખેડૂત સુધી પહોંચાડવા કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકોને રાજ્યના ૧૮૦૦૦ ગામડાંઓમાં ખેતીમાટેરાજ્યના કોઇપણ ખેડૂતને કોઇપણ મૂંઝવણ હોય તો ૧૫૫૧ ફેન નંબર જોડવાથી માર્ગદર્શન મળી શકશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. રાજ્યના આદિજાતિ મંત્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લાં ૮ વર્ષથી કૃષિ મહોત્સવના કારણે આજે ગુજરાતે કૃષિ ઉત્પાદનમાં ૧૧ ટકાનો વધારો કર્યો છે. બળબળતા ઊનાળામાં રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા ખેડૂતના ઉંબરે જઇ કૃષિ તજજ્ઞો અને તેમણે કરેલા સફ્ળ સંશોધનનો લાભ ખેડૂતના ઘરે પહોંચતા કરવાના પરિશ્રમને ખેડૂતોએ સફ્ળ બનાવ્યા છે.

આમાં પણ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારના ૧૨ જિલ્લાની ૧૩ તાલુકામાં વસતા ૯૦લાખ જેટલા આદિવાસી સમાજે પણ પોતાની પરંપરાગત ખેતીમાં આમૂલ પરિવર્તન આણ્યું છે. થોડીક જમીનમાં વધુ આવક મેળવવામાં આદિવાસી સમાજ પણ આગળ ધપી રહ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X