રાજ્યના પૂર્વ મંત્રીઓને વિશાળ સરકારી બંગલા ફાળવતાં કોંગ્રેસે કર્યો વિરોધ
રાજ્યના પૂર્વ મંત્રીઓને વિશાળ સરકારી બંગલા ફાળવતાં કોંગ્રેસે કર્યો વિરોધ
રાજ્યમાં વિજય રૂપાણી મંત્રીમંડળના તમામ સભ્યોની બાદબાકી કરી નવી મંત્રીમંડળ ગઠીત કરાયા બાદ તમામ નવા મંત્રીઓને મંત્રી નિવાસમાં બંગલાની ફાળવણી કરવામાં આવી હતી. જેના કારણે પૂર્વ કેબિનેટના તમામ સભ્યોને તેમના બંગલા ખાલી કરવાની નોબત આવી હતી. આ પૂર્વ મંત્રીઓને ધારાસભ્ય નિવાસમાં ફ્લેટની ફાળવણી કરવામાં આવી હતી. પરંતું, જાહોજલાલીમાં ટેવાયેલા આ મંત્રીઓને નાના ફ્લેટમાં અનુકૂળતા ન આવતાં તેમને રાજ્ય સરકારના વિશાળ બંગલા સરકારી ખર્ચે ફાળવવામાં આવ્યા છે.
રાજ્ય સરકારના પૂર્વ મંત્રીઓને ધારાસભ્ય કવાટર્સમાં ગમતું ન હોવાથી કે અન્ય જરૂરીયાતો સરકારી ખર્ચે વિશેષ સુવિધા સંતોષવા માટે નાગરીકોના પૈસાનો વ્યય થાય તે રીતે સરકારી વિશાળ બંગલાઓ નવી સરકારે નિર્ણય કરીને ફાળવી દેવાયા છે. ભાજપ સરકારના પૂર્વ મંત્રીઓ (૧) નીતિન પટેલ (૨) ભુપેન્દ્રસિંહ ચુડાસમા, (૩) સૌરભ પટેલ (૪) ગણપત વસાવા (૫) જયેશ રાદડિયા (૬) ઈશ્વર પરમાર (૭) પ્રદિપસિંહ જાડેજા (૮) પરસોત્તમ સોલંકી (૯) જયદ્રથ પરમાર (૧૦) ઈશ્વર પટેલ (૧૧) વાસણ આહીર (૧૨) વિભાવરી દવે (૧૩) રમણ પાટકર (૧૪) ધર્મેન્દ્રસિંહ જાડેજા (૧૫) કુંવરજી બાવળીયા વગેરેને ''ક'' અને ''ખ'' કક્ષાના બંગલાઓ (સરકારી આવાસો) ગાંધીનગરમાં પ્રવર્તમાન શૈક્ષણિક સત્ર સુધી અભ્યાસક્રમના બહાને ફાળવવામાં આવ્યા છે. આ બંગલાઓનું બજાર ભાડુ ૪૨,૦૦૦ નક્કી થયેલ હોવા છતાં જુદાં-જુદાં- હુકમોથી આર્થિક ભાડા(ઈકોનોમી રેટ)ના મામુલી ૪૮૦૦ના ભાડાના દરથી ફાળવી દેવામાં આવ્યા છે.
સરકારે ''દલા તરવાડીની જેમ રીંગણા લઉં બે ચાર, લે ને દશ-બાર''ની જેમ પ્રજાની તિજોરીના નાણાનો વ્યય કરીને પુર્વ મંત્રીઓને આલીશાન બંગલાની લહાણી કરાવી છે. ત્યારે, કોંગ્રેસ દ્વારા રાજ્યની જનતાની પરસેવાની કમાણીના નાણાં આ રીતે સરકારના પુર્વ મંત્રીઓની જાહોજલાલી પાછળ ખર્ચવા બદલ આકરી ટીકા કરી બંગલાઓ તાત્કાલિક ખાલી કરાવીને પ્રજાના ટેકસના નાણામાંથી બનાવવામાં આવેલ અને તેની જાળવણી માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે તે અટકાવવા આવા તમામ બંગલાઓ ખાલી કરાવીને સરકારી નાણાનો વ્યય તાત્કાલિક અટકાવવાની જવાબદારી રાજ્ય સરકારની બને છે, સાથોસાથ મંત્રીશ્રી કક્ષાની સીકયુરીટી ચાલુ રાખવામાં આવેલ છે તે પણ નીયમ મુજબ પરત લેવાય તે યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે માંગ કરી છે.