બળવાખોરો પર કૉંગ્રેસનો ચાબુક, પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હવે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી
રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ- ઉપપ્રમુખના હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ હતી.
રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ- ઉપપ્રમુખના હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ હતી. રાજ્યની 31 જેટલી જિલ્લા પંચાયત અને 230 જેટલી તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખપદ માટેની ચૂંટણી બે દિવસ દરમિયાન હાથ ધરાઇ હતી. આ ચૂંટણીમાં અમદાવાદ, ભાવનગર, પાટણ, દાહોદ, મહીસાગર અને વડોદરા જિલ્લા પંચાયતમાં વ્હીપનો અનાદર કરનારા કોંગ્રેસના સદસ્યોને તાકીદની અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે તેમની સામે પક્ષાંતર ધારા હેઠળની કાર્યવાહી કૉંગ્રેસ પક્ષ દ્વારા હાથ ધરવામાં આવશે.
31 જિલ્લા પંચાયતોમાં યોજાઇ પ્રમુખ ઉપપ્રમુખની વરણી
રાજ્યમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતને બાદ કરતાં તમામ ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયત માટે અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થયા બાદ નવા પ્રમુખ-ઉપપ્રમુખ, પદાધિકારીઓ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. વિકાસ કમિશનર દ્વારા જાહેર કરેલા નવા રોટેશન પ્રમાણે આ ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી યોજાયા બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ૩૧ જિલ્લા પંચાયતની ૨૦૧૫માં યોજાયેલ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન પર ૨૩ જિલ્લા પંચાયતમાં જન સમર્થન આપીને કોંગ્રેસ પક્ષને શાસન સોંપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીનો કારમો પરાજય થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં કૉંગ્રેસનો વિજય થયો હતો. જ્યારે, શહેરી વિસ્તારમાં કૉંગ્રેસને પુરી સફળતા મળી નહોતી.
230 તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
તો તાલુકા પંચાયતની જો વાત કરીએ તો. ૨૩૦ તાલુકા પંચાયતની ૨૦૧૫ માં યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ૧૨૯ તાલુકા પંચાયતમાં વિજય અપાવ્યો હતો. પંચાયતીરાજના નિયમ મુજબ પ્રમુખ-ઉપપ્રમુખના અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થતા કોંગ્રેસ પક્ષનું ૧૮ જિલ્લા પંચાયતમાં પુન:શાસન સ્થાપિત થયું છે. ૨૦૧૫માં કારમો પરાજય પામેલ ભાજપે આજે યોજાયેલા પ્રમુખ-ઉપપ્રમુખપદની ચૂંટણીમાં સત્તા મેળવવા માટે શામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કર્યો હતો. કૉંગ્રેસની બહુમતિવાળી જિલ્લા પંચાયતોમાં પણ ભાજપ સત્તા મેળવવામાં સફળ રહ્યું છે.
ભાજપે સત્તાનો દુરપયોગ કર્યાનો આક્ષેપ
કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે, ભાજપે જિલ્લા અને તાલુકા પંચાયતો પચાવવા માટે સત્તાનો ભરપૂર દુરુપયોગ કર્યો હતો. પોલીસની ધાક ધમકી પણ વાપરવામાં આવી હતી. તો, સહકારી ક્ષેત્રનો પણ દુરુપયોગ ઉપયોગ કર્યો હતો. ડાંગ જિલ્લા પંચાયતમાં કોગ્રેસની બહુમતી થવા છતાં સરકારના ઇશારે આ ચૂંટણીને મુલત્વી રાખવામાં આવી હોવાનો પણ આક્ષેપ કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર કર્યો હતો.
અમિત શાહના ઇસારે તોડફોડ કરવા પ્રયાસ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપના કાર્યકરોને ફરમાન કરીને રાજ્યની ૫૦ ટકા જેટલી જિલ્લા પંચાયત અને શક્ય હોય તેટલી તાલુકા પંચાયત તોડવાનું કાર્ય ભાજપ સરકાર અને સ્થાનિક નેતાઓને સોંપવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કૉંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતું, ભાજપ સરકાર કૉંગ્રેસની જિલ્લા પંચાયત તોડવામાં નિષ્ફળ રહી હોવાનું પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું.
વ્હીપનો અનાદર કરનાર સામે કાર્યવાહી
જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારોની આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના વ્હિપનો અનાદર કરી બળવો કરનાર તમામ સભ્યોને તાત્કાલિક અસરથી કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહિ આ તમામ બળવાખોર સભ્યોની સામે પક્ષાંતર ધારા હેઠળ કાયદાકીય લડાઈ હાથ ધરવા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું.
ભાજપે સર્જયું હતું લોભ અને ભયનું વાતાવરણ
વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગામડાંમાં ભાજપનો જનાધાર ઘટતા સરકારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં દખલગીરી કરી હતી. સરકારે સત્તાના જોરે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં કોગ્રેસે મોટા ભાગની જિલ્લા પંચાયતમાં બહુમતી જાળવી છે. ભાજપે ભય અને લોભનું વાતાવરણ ઊભું કરી કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તોડવાનો પ્રયાસ કર્યો છે તેને વખોડું છું. પક્ષ સાથે દ્રોહ કરીને ગયેલા લોકો સામે કાયદાકીય પગલાં લેવા પણ તેમણે જણાવ્યું હતું.
2019ની ચૂંટણીમાં પણ ભાજપને પાઠ ભણાવશે પ્રજા
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીમાં સત્તા પરિવર્તન ભલે કર્યું, પરંતુ ગામડાંમાં ભાજપનો જનાધાર ઘટ્યો છે. જે ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને હજુ તેનો જવાબ મળશે. કોગ્રેસના સભ્યોને તોડી મરોડીને જનાદેશની વિરુદ્ધ સત્તા પચાવી પાડનારા સામે લોકો જવાબ આપશે અને કૉંગ્રેસ આ પક્ષ પલટો કરનાર બળવાખોરો સામે સખ્તાઇથી વલણ અપનાવશે.