કોંગ્રેસ 'જમાઇરાજા'ની સેવામાં વ્યસ્ત છે : નરેન્દ્ર મોદી
બનાસકાંઠાના સૂઇ ગામમાં મુખ્યમંત્રીનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં લોકોને તરફથી કેવા પ્રતિભાવ મળે છે તેની વાત કરતા મુખ્યમંત્રીએ લોકોને જણાવ્યું હતું કે "મારી યાત્રાઓમાં ઘણીવાર લોકો મને પૂછતા કે, તમે આટલા રૂપિયા લાવો છો ક્યાંથી? મારે કહેવું છે કે મોદી આટલા રૂપિયા એટલા માટે લાવે છે કે મોદીને રૂપિયા ખાનારો જમાઇ નથી. મારું કુટુંબનું છ કરોડ લોકોનું છે. આ રૂપિયા મારે તેમના માટે ખર્ચ કરવા છે."
મોદીએ વધુમાં જણાવ્યું કે "જ્યારથી જમાઇ રાજનો મામલો આવ્યો છે ત્યારે મનમોહન સિંહના રિફોર્મને શું થઇ ગયું છે? અઠવાડિયાથી આખું તંત્ર જમાઇની સેવામાં લાગી ગયું છે, અને પ્રધાનમંત્રીનું મોઢું ફરી બંધ થઇ ગયું છે."
મોદીએ જણાવ્યું કે "મારે સૂઇ ગામનો એવો વિકાસ કરવો છે કે માત્ર કેન્દ્ર નહીં પણ ઇસ્લામાબાદને પણ ઇર્ષા આવે કે પાકિસ્તાનના પાડોશનું ગામ કેવું ઝગમગે છે."