ભાજપ મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવી લોકોને ગુમરાહ કરે છેઃ અર્જુન મોઢવાડીયા
રાજીવ ગાંધી ભવન ખાતે અર્જુન મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદન પર સપષ્ટતા કરી હતી.
કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે અર્જુન મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદન પર સપષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ભાજપ અને ચોક્કસ લોકોએ એને તોડી મરડીને પ્રજા સમક્ષ રજુ કર્યું અને એના પછી ભાજપના લોકોએ ગઈ કાલે રાત્રે અહિંયા એજ મુદ્દો ફરી પાછો ચગાવવા માટે કોંગ્રેસ પક્ષના કાર્યાલયના દિવાલ ઉપર પ્રદુષણ કરવાનું જે કામ કર્યું છે. તેમણે જણાવ્યું હતુ કે, જગદીશ ઠાકોરના નિવેદનને તોડી મરડીને રજુ કરવામાં આવ્યું છે. આખા ભાષણની અંદર અગાઉ શું બોલ્યા, પછી શું બોલ્યા એને બદલે એક જ ટુકડો લઈને ભાજપ વિવાદ કરીને રાજ્યના જનતાના મુખ્ય મુદ્દાઓ બેરોજગારી, મોંઘવારી, કથળતી શિક્ષણ અને આરોગ્ય સેવા, ખેડૂતોની પારાવાર મુશ્કેલી, કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ સહિતના પ્રશ્નોથી ધ્યાન ભટકાવવાનું સુનિયોજીત પ્રયત્ન કરી રહી છે અને નોનઈશ્યુના મુદ્દે વિવાદ ઉભો કરી રહી છે.
અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતુ કે, આ દેશની તિજોરી ઉપર કોનો અધિકાર છે ? વિજય માલીયા, લલીત મોદી, નિરવ મોદી, મેહુલ ચોક્સી, સાંડેસરા ભાઈઓ સહિતના વિદેશ ભાગી ગયેલા એવા લુંટારાઓનો કે પછી દેશના સામાન્ય પ્રજાજનો કે જેઓ ગરીબ, સામાન્ય, શોષીત અને વંચિત છે તેમનો અધિકાર, ભાજપ જવાબ આપે.
મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાની ભાજપાની ભ્રષ્ટ નીતિ-રીતિ સમગ્ર રાષ્ટ્ર અને દેશ પુરી રીતે જાણી ચુક્યું છે. હિંદુ-મુસ્લીમના નામે, જ્ઞાતિ-જાતી વચ્ચે વેર ઉભો કરવા, વિભાજનની રાજનીતિ, ભાજપની સત્તા મેળવવાની જડીબુટ્ટી છે. મોંઘવારી દર સૌથી ઉંચો છે, રોજ-બરોજની જરૂરિયાત - દહિં, છાસ, લોટ પર જી.એસ.ટી. (ગબ્બર સીંગ ટેક્ષ) થોપી દેવામાં આવ્યો છે. કહેવાતી હિંદુઓની ઠેકેદાર સરકારમાં સન્માન સાથે જીવન જીવવાનો તો અધિકાર છીનવાઈ રહ્યો છે. ત્યારે, ચૂંટણી સમયે નતનવા નાટકો કરી નિષ્ફળ ભાજપ શાસનથી પ્રજાનું ધ્યાન ભટકાવવા જાતિ અને ધર્મના ખેલ કરાવવા પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.