Excl : ‘સાઇઠ’ સાથે ‘સાદૃશ્ય’ નહીં થઈ શકે કોંગ્રેસ !
અમદાવાદ, 21 ડિસેમ્બર : ગુજરાત કોંગ્રેસ માટે વિધાનસભામાં સાઇઠ સભ્યો સાથે પ્રવેશ કરવાનું સ્વપ્ન આ વખતે માંડ સાકાર થયુ હતું, પરંતુ જે પણ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થઈ છે, તે જોતા લાગે છે કે કોંગ્રેસનું સાઇઠનું સ્વપ્ન હાલ તો પૂર્ણ નહીં થાય. સાઇઠ તો શું, ગઈ વિધાનસભામાં જે આંકડો 59નો હતો, તે પણ કદાચ નહીં રહે. તે આંકડો પણ કદાચ એક ઓછો થઈ જશે. હા, કદાચ છ માસની અંદર યોજાનાર પેટા ચુંટણીઓમાં કોંગ્રેસ જો જોર લગાવે, તો કદાચ કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા સાઇઠ ઉપર પહોંચી શકે છે.
આપ વિચારતાં હશો કે અમે એમ કઈ રીતે કહી શકીએ કે જ્યારે કોંગ્રેસ ગુજરાત વિધાનસભા ચુંટણી 2012માં પૂરી 61 બેઠકો હાસલ કરી છે, પરંતુ આમ કહેવા પાછળ અમારી પાસે સચોટ તારણો અને કારણો છે. સૌપ્રથમ તો કોંગ્રેસ માટે માઠા સમાચાર એ છે કે તેમના એક ધારાસભ્યનું આજે નિધન થઈ ગયું છે. મોરવા હડફ વિધાનસભા મત વિસ્તારથી ચુંટાયેલા કોંગ્રેસના સવિતાબેન ખાંટ ગઈકાલે મતગણતરી દરમિયાન પડી ગયા હતાં અને તેમને બ્રેન હેમરેજ થયુ હતું. સવિતાબેનનું આજે નિધન થઈ ગયું.
સવિતાબેનનું નિધન થતાં જ કોંગ્રેસ માટે પડ્યા ઉપર પાટુ જેવી હાલત થઈ છે. કોંગ્રેસના 61 ધારાસભ્યો ચુંટાયા હતાં, પરંતુ વિધાનસભામાં પ્રવેશ કરી શકે તેવા ધારાસભ્યોની સંખ્યા હવે 60 થઈ ગઈ છે. ગઈકાલે જ્યારે કોંગ્રેસે 61 બેઠકો જીતી, ત્યારે એમ લાગ્યું હતું કે 1990થી સાઇઠના આંકડે પહોંચવા તલસતી કોંગ્રેસ કદાચ 22 વર્ષ બાદ હવે સાઇઠ ધારાસભ્યો સાથે વિધાનસભામાં બેસશે. જોકે સવિતાબેનના નિધન બાદ પણ કોંગ્રેસ આ આંકડા સાથે વિધાનસભામાં બેસી શકે છે.
પરંતુ... પરંતુ... નથી લાગતું કે આવું થઈ શકશે, કારણ કે કોંગ્રેસના હયાત 60 ધારાસભ્યોમાં 2 સાંસદો છે. એ કેમ ભુલાય? તેમાં વિટ્ઠલ રાદડિયા ધોરાજી અને સોમાભાઈ પટેલ લીમ્બડી વિધાનસભા બેઠકો ઉપરથી વિજેતા થયાં છે. આ બંને કોણ છે. યાદ છે ને? નથી યાદ. આ બંને સાંસદો છે. વિટ્ઠલ રાદડિયા પોરબંદર લોકસભા બેઠક ઉપરથી સાંસદ છે, તો સોમાભાઈ પટેલ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપરથી સાંસદ છે.
અને સાંસદો કેમ ઉતરે છે વિધાનસભા ચુંટણીમાં? એ તો તમે જાણો જ છો. એમને લાગતું હોય કે તેમનો પક્ષ સત્તામાં આવે, તો સાંસદતો એકમાત્ર લોકસભા બેઠકનો પ્રતિનિધિ હોય છે, જ્યારે રાજ્યમાં કોઈ મંત્રી પદ મળી જાય, તો તે આખા રાજ્યનું પ્રતિનિધિત્વ અપાવે અને સાંસદ કરતાં રાજ્યના કોઈ મંત્રીનો દરજ્જો પણ ઉંચો જ હોય છે.
પરંતુ... ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની નથી. તેવામાં આ બંને સાંસદો ધારાસભ્ય પદે તો કદાચ નહીં જ રહે અને બંને રાજીનામાં આપશે જ. એવી પરિસ્થિતિમાં કોંગ્રેસના 60માંથી વધુ 2 ધારાસભ્યો ઓછા થઈ જશે અને કોંગ્રેસ વિધાનસભામાં માત્ર 58 ધારાસભ્યો સાથે પ્રવેશ કરશે કે જે આંકડો ગઈ વિધાનસભા કરતાં પણ એક ઓછો હશે. ગઈ વિધાનસભામાં કોંગ્રેસે 59 ધારાસભ્યો સાથે પ્રવેશ મેળવ્યો હતો.