પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના પ્રયાસોથી નારાજ આગેવાનો રિઝાશે કે ખીજાશે?
દેશમાં લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કૉંગ્રેસમાં અસંતોષની આગ વધુ પ્રબળ બની રહી છે. પ્રદેશ કૉંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ જ પક્ષમાં પોતાની અવગણનાથી નારાજ જોવા મળી રહ્યા છે.
દેશમાં લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કૉંગ્રેસમાં અસંતોષની આગ વધુ પ્રબળ બની રહી છે. પ્રદેશ કૉંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ જ પક્ષમાં પોતાની અવગણનાથી નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે, કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે હવે આ અંગે પક્ષના નારાજ આગેવાનોને મનાવવા પ્રયાસ હાથ ધર્યા છે. સિનિયર આગેવાનો સાથે વન ટુ વન બેઠકો હાથ ધરીને તેમને સાંભળ્યા હતા. આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ તેમણે તમામ પક્ષોમાં થોડી ઘણી નારાજગી હોય છે અને તેને પક્ષના મોવડીમંડળની દરમિયાનગીરીથી દુર પણ કરવામાં આવતી હોવાનો દાવો કર્યો હતો. કૉગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ પ્રભારીને જુથવાદ અને પક્ષના આંતરિક અસંતોષનો નિવેડો લાવવા સૂચના આપી છે.
રાજીવ સાતવે સંભાળ્યો મોરચો
કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને પુર્વ પ્રદેશ પ્રમુખ કૉંગ્રેસના સિનિયર આગેવાનોની અવગણના કરીને પોતાની મનમાની રીતે પાર્ટી ચલાવતાં હોવાનો કેટલાક આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે. આ કારણે કૉંગ્રેસના 15 જેટલા આગેવાનો પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના નિવાસ સ્થાને અગાઉ મળ્યા હતા. જોકે, સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પક્ષનો આંતરિક નિવેડો ન આવે તો પ્રભારી પદ છોડવાની તૈયારી દર્શાવી હોવાનો દાવો પણ કર્યો છે. પરંતું, 2022 પછી જ ગુજરાત પ્રભારીનું પદ છોડીશ તેવો દાવો પણ કર્યો હતો.
પ્રદેશ પ્રભારીએ કરી નારાજ નેતાઓ સાથે બેઠક
ગુજરાત કોંગ્રેસમાં સિનિયર-જુનિયર નેતાઓ વચ્ચેનો આંતરિક ડખો ચરમસીમાએ પહોંચ્યો છે. કૉંગ્રેસના નેતાઓની જૂથબંધી અને આંતરિક વિખવાદથી હાઇકમાન્ડ પણ નારાજ છે. ત્યારે, કૉંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાતમાં આ મામલાનો નિવેડો લાવવાની જવાબદારી પ્રભારી રાજીવ સાતવને સોપી છે. રાજીવ સાતવે વન ટુ વન બેઠક કરીને તમામ નારાજ નેતાઓને સાંભળ્યા હતા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો વિશ્વાસ પણ આપ્યો હતો.
કૉંગ્રેસના સિનિયર આગેવાનો નારાજ
કૉંગ્રેસના કેટલાક સિનિયર આગેવાનોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતાં એવો સુર પુરાવ્યો હતો કે, પ્રદેશ પ્રમુખ સિનિયરોને ગણકારતાં નથી, મનઘડત નિર્ણયો લે છે, જસદણની ચૂંટણી હોય કે પછી કોઈ આંદોલનાત્મક કાર્યક્રમ હોય ત્યારે સિનિયરોની સલાહ લેવાતી નથી કે મિટિંગમાં તેમને બોલાવાતાં નથી. આ કારણે, કૉંગ્રેસને જસદણની ચૂંટણીમાં પરાજય પણ સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે, હવે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસનું હાઇકમાન્ડ સિનિયર નેતાઓને મનાવવામાં અને પક્ષમાં ચાલતી મનમાની નીતિ અટકાવવામાં કેટલું સફળ થાય છે. સિનિયર આગેવાનોની નારાજગી લોકસભાની ચૂંટણી પહેલાં દુર ન થાય તો પક્ષમાં નવાજુનીના પણ એંધાણ પણ વર્તાઇ રહ્યા છે