#SpeakUpForFarmers : કૉંગ્રેસનું ગુજરાતમાં ખેડૂતો માટે આજથી ઓનલાઇન અભિયાન - TOP NEWS
#SpeakUpForFarmers : કૉંગ્રેસનું ગુજરાતમાં ખેડૂતો માટે આજથી ઓનલાઇન અભિયાન - TOP NEWS
ગુજરાત કૉંગ્રેસે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામા આવેલા ત્રણ કૃષિવિષયક કાયદાઓ વિરુદ્ધ વિરોધપ્રદર્શન કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી #SpeakUpForFarmers અભિયાનની જાહેરાત કરી છે.
ગુજરાત કૉંગ્રેસે ટ્વિટર પર આ અંગે માહિતી પણ આપી છે.
https://twitter.com/INCGujarat/status/1309507895764029440
આ અભિયાન શનિવારે સવારે 10 વાગ્યાથી શરૂ કરાશે. ગુજરાત કૉંગ્રેસે સોશિયલ મીડિયાના માધ્યમથી લાઇવ જોડાઈને ખેડૂતો સાથે કથિતપણે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે જાહેર જનતાને અપીલ કરી છે.
નોંધનીય છે કે દેશના જુદાજુદા વિસ્તારોમાં પાછલા દિવસોમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ખેતીવિષયક બિલોની જોગવાઈઓનો વિરોધ થઈ રહ્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સુધરાઈઓ દ્વારા 74 ટકા કચરો પ્રોસેસિંગ કર્યા વગર જ નાખી દેવાય છે : CAG
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર 2014-2019 દરમિયાન ગુજરાતનાં નાનાં અને મોટાં શહેરોમાં સ્થાનિક સુધરાઈઓ દ્વારા 74 ટકા ઘન કચરાનો પ્રોસેસ કર્યા વગર જ નિકાલ કરાયો હોવાનું કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલના રિપોર્ટમાં બહાર આવ્યું છે.
નોંધનીય છે કે શુક્રવારે ગુજરાત વિધાનસભામાં આ રિપોર્ટ જાહેર કરાયો હતો.
અહેવાલમાં અપાયેલ અન્ય માહિતી અનુસાર મ્યુનિસિપલ સોલિડ વૅસ્ટ મૅનેજમેન્ટના પ્રોજેક્ટ રિપોર્ટની મંજૂરીમાં વિલંબને કારણે આ હેતુ માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મળેલ 22 ટકા ફંડ જ ઉપયોગમાં લઈ શકાયો છે.
નોંધનીય છે કે સ્વચ્છ ભારત મિશન- અર્બનની માર્ગદર્શિકા પ્રમાણે શહેરી સ્થાનિક સુધરાઈઓએ સંબંધિત રાજ્ય સરકારો સાથે સલાહ-મસલત કર્યા બાદ ઘન કચરાના મૅનેજમૅન્ટ માટે વ્યાપક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાના હોય છે.
CAGના રિપોર્ટ અનુસાર 18 શહેરી સ્થાનિક સુધરાઈઓના રેકૉર્ડની ચકાસણી કર્યા બાદ સ્ટેટ લેવલ હાઈ પાવર કમિટીની મંજૂરી માટે વ્યાપક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં અને તેની સોંપણીમાં ગેરવાજબી વિલંબ કરવામાં આવ્યો છે.
ગુજરાત : વિધાનસભામાં ટેનન્સી બિલ પસાર, કૉંગ્રેસે 'ઉદ્યોગોની તરફેણ કરતું બિલ’ ગણાવ્યું
શુક્રવારે ઔદ્યોગિક હેતુ માટે જમીનના વેચાણ અંગેનું 'ધ ગુજરાત ટેનન્સી ઍન્ડ ઍગ્રિકલ્ચરલ લૅન્ડ લૉઝ (ઍમેન્ડમેન્ટ) બિલ, 2020' ગુજરાત વિધાનસભામાં પસાર કરાયું હતું.
ગુજરાત કૉંગ્રેસ દ્વારા આ બિલને 'ઉદ્યોગોની તરફેણ કરતું’ બિલ ગણાવી તેની ટીકા કરાઈ છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર મહેસૂલ મંત્રી કૌશિક પટેલે રજૂ કરેલ આ બિલ રાજ્યમાં હાલમાં લાગુ ત્રણ જુદાજુદા કાયદાઓમાં ફેરફાર કરે છે.
કૌશિક પટેલના જણાવ્યાનુસાર, “ગુજરાત ટેનન્સી ઍન્ડ ઍગ્રીકલ્ચર લૅન્ડ્સ ઍક્ટ, 1948 અનુસાર ખેતીના વ્યવસાય સાથે ન સંકળાયેલ હોય તેવી વ્યક્તિ ખેતી માટેની જમીન ખરીદી શકતી નહોતી. 1997માં સેક્શન AA દાખલ કરી પ્રમાણિત ઉદ્યોગપતિઓ જમીન ખરીદી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી. મેં આ સેક્શનમાં કેટલાક સુધારા સૂચવ્યા છે.”
નવા બિલ અનુસાર ધંધાકીય હેતુ માટે ખરીદાયેલ જમીનના સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમનમાં ફેરફાર, ભાગીદારીમાં ફેરફાર કે કોર્ટ દ્વારા મિલકતનો કબજો લેવાયાની સ્થિતિમાં વેચાણ કે તબદીલીને મંજૂરી આપે છે.
ગુજરાતની દરિયાઈ સરહદમાં પ્રવેશનાર અન્ય રાજ્યોના માછીમારો દંડાશે
ન્યૂઝ 18 ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે શુક્રવારે ગુજરાત વિધાનસભામાં અન્ય રાજ્યોની ફિશિંગ બોટની પ્રવૃત્તિઓ પર દંડાત્મક કાર્યવાહી માટે મંજૂરી આપતો ખરડો ગુજરાત ફિશરિઝ ઍમેન્ડમેન્ટ બિલ, 2020 પસાર કરાયો હતો.
આ નવી જોગવાઈ પ્રમાણે ગુજરાતની દરિયાઈ સરહદમાં પ્રવેશનાર માછીમારોને એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરાઈ છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રજૂ કરાયેલ આ બિલની જોગવાઈઓ અનુસાર મરિન પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કે તેનાથી ઊંચા દરજ્જાના અધિકારીઓને 'તપાસ અને જપ્તી’ સંબંધી સત્તાઓ આપવામાં આવી છે.
આ પહેલાં વર્ષ 2003ના કાયદામાં અન્ય રાજ્યોમાંથી માછીમારી માટે ગુજરાતની દરિયાઈ સરહદમાં પ્રવેશનાર માછીમારો પર પગલાં લેવાની કોઈ જોગવાઈ નહોતી.
કરણ જોહરે કહ્યું, હું ના ડ્રગ્સ લઉં છું ના મારી પાર્ટીમાં ડ્રગ્સ હોય છે
બીબીસી હિંદીના એક અહેવાલ અનુસાર કરણ જોહરે એક નિવેદન જારી કરીને તેમની તરફથી અપાતી પાર્ટીઓમાં ક્યારેય ડ્રગ્સનો ઉપયોગ ન કરાતો હોવાની વાત કરી છે.
પોતાના નિવેદનમાં કરણ જોહરે કહ્યું કે, “કેટલીક સમાચાર ચૅનલો, પ્રિન્ટ અને ઇલેકટ્રૉનિક્સ મીડિયા અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મો પર એવા ખોટા સમાચાર ચલાવાઈ રહ્યા છે કે મેં 28 જુલાઈ, 2019ના રોજ પોતાના ઘરે પાર્ટી આપી હતી જેમાં ડ્રગ્સનું સેવન કરાયું હતું.”
તેમણે કહ્યું કે, “મેં વર્ષ 2019માં પણ આ આરોપ ખોટા હોવાની વાત કરી હતી. હવે ફરીથી ચલાવાઈ રહેલા દુર્ભાવનાપૂર્ણ ભ્રામક અભિયાનને જોતાં હું ફરીથી આ આરોપોને નિરાધાર અને ખોટા ગણાવં છું. એ પાર્ટીમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સનું સેવન નહોતું કરાયું.”
કરણ જોહરે કહ્યું કે ના તેઓ કોઈ પણ પ્રકારના ડ્રગ્સનું સેવન કરે છે કે ના આવા કોઈ પદાર્થના સેવનને ઉત્તેજન પૂરું પાડે છે.
પેરિસ : શાર્લી એબ્દોની પુરાણી ઑફિસ પાસે ચપ્પુ વડે હુમલો, પાકિસ્તાની મૂળના યુવકની ધરપકડ
ફ્રાંસના ગૃહમંત્રી દ્વારા અપાયેલ માહિતી અનુસાર શાર્લી ઍબ્દો પત્રિકાની જૂની ઑફિસ પાસે ચપ્પુ વડે થયેલા હુમલાને આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યો છે. આ હુમલામાં બે લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા છે.
ફ્રાંસના ગૃહમંત્રી જૅરાલ્ડ ડૅરમાનિને કહ્યું કે પત્રિકા શાર્લી ઍબ્ડોની જૂની ઑફિસ પાસે થયેલ હુમલો 'સ્પષ્ટપણે ઇસ્લામી આતંકવાદની કાર્યવાહી છે.’
ઘટનાસ્થળની નજીકથી પાકિસ્તાની મૂળની એક સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરાઈ છે.
આ ઘટના બાબતે ઓછામાં ઓછા ચાર અન્ય લોકોની પણ ધરપકડ કરાઈ છે.
આ હુમલાના શિકાર થયેલી બે વ્યક્તિ એક ટી.વી. પ્રૉડક્શન કંપની માટે કામ કરે છે. ઈજાગ્રસ્ત થનાર વ્યક્તિમાં એક પુરુષ અને એક મહિલા છે. બંનેની હાલત હાલ સ્થિર છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો