સુરતમાં રાહુલે હીરા ઘસતા કામદારો સાથે પણ કરી મુલાકાત
નોટબંધીને એક વર્ષ પુર્ણ થવા પર સુરતના વેપારી કરશે કેન્ડલ માર્ચ. આ કેન્ડલ માર્ચમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આપશે હાજરી. આ અંગે વધુ વાંચો અહીં.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એક અઠવાડિયામાં બીજી વાર સુરત આવી પહોંચ્યા છે. બુધવારે સવારે લગભગ 11 વાગે તેઓ સુરત એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમના સ્વાગત માટે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત તેમજ અન્ય કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીની આ મુલાકાત ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેઓ સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે સુરતના વેપારીઓ સાથે જીએસટી અંગે ચર્ચા કરશે, આ પહેલા તેમણે કેટલાક વેપારીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત આજે 8 નવેમ્બરના રોજ નોટબંધીની જાહેરાતને 1 વર્ષ પૂર્ણ થયું છે, જેને કોંગ્રેસ કાર્યકર્તાઓ 'કાળા દિવસ' તરીકે ઉજવી રહ્યાં છે. વેપારીઓ સાથેની વાતચીત બાદ રાહુલ ગાંધી પણ 'કાળા દિવસ'ની રેલીમાં ભાગ લેનાર છે. આમ કોંગ્રેસ ઉપાધ્યક્ષ પોતાની આ એક દિવસીય મુલાકાત દરમિયાન ભાજપને નોટબંધી અને જીએસટી એમ બંને મુદ્દા પર ઘેરવાની તૈયારીમાં છે.

સુરત ખાતે વેપારીઓ સાથે સંવાદ કર્યા બાદ પત્રકાર પરિષદમાં વાત કરતાં રાહુલ ગાંધીએ જીએસટી અને નોટબંધી અંગે વાત કરતાં કહ્યું હતું કે, આને કારણે અર્થવ્યવસ્થાની કમર તોડી નાંખી. જીએસટી અંગે કોંગ્રેસના નેતાઓએ મોદીજી, જેટલીજી સાથે ફોર્મલી, ઇનફોર્મલી અનેકવાર કહ્યું હતું કે, જીએસટી આ રીતે લાગુ ન કરો. આ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના રાજકારણીય ક્લેશની વાત નથી, દેશની ભલાઇની વાત છે. તેમ છતાં તેમણે જીએસટી લાગુ કર્યું. જીએસટીમાં ટેક્સ રિફોર્મેશનની જરૂર છે. 18 ટકાથી વધુ ટેક્સ ન હોવો જોઇએ. આમ છતાં, તેમણે રાત્રે 12 વાગે જીએસટી લાગુ કરી દીધો. જીએસટી અને નોટબંધી જેવા નિર્ણયોએ સુરતની શક્તિ છીનવી લીધી.

રાહુલ ગાંધીએ સુરત ખાતે ટેક્સટાઇલ, કાપડ, હીરાના વેપારીઓ, એમ્બ્રોઇડરીના કામદારો, ફેક્ટરી માલિક અને કામદારો સાથે મુલાકાત કરી હતી. સુરતની લૂમ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો સાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતાઓએ બેઠક કરી હતી. આ સિવાય બાલાક્રિષ્ના સિન્થેટિક્સ કંપનીના ટેક્સટાઇલ યુનિટ ખાતે કામદારો સાથે પણ વાતચીત કરી હતી અને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત તેમણે સાંઇ સંત મિલના ડાઇંગ એન્ડ પ્રોસેસિંગ યુનિટના કામદારો, ટીકી-સ્ટોન લગાવનારી મહિલાઓ અને કાપોદરા ખાતે ડાયમંડ પોલિશિંગ યુનિટના કામદારો સાથે પણ મુલાકાત કરી હતી. વિવિધ મુલાકાતો વચ્ચે રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓ સાથે સુરતની એક સામાન્ય ચાની કીટલી પર ચા પીધી હતી અને સાથે ભજીયાનો સ્વાદ પણ માણ્યો હતો.














Click it and Unblock the Notifications
