જન પ્રતિભાવના આધારે ઉમેદવારની પસંદગી કરવાની કૉંગ્રેસની સ્ટ્રેટેજી સફળ થશે?
લોકસભાની ચૂંટણી જીતવા અત્યારથી ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અને કૉંગ્રેસના કાર્યાલયો પર બેઠકોના દોર ચાલુ થઇ ગયા છે.
લોકસભાની ચૂંટણી જીતવા અત્યારથી ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અને કૉંગ્રેસના કાર્યાલયો પર બેઠકોના દોર ચાલુ થઇ ગયા છે. ત્યારે, ગુજરાત કૉંગ્રેસે પણ નવા સંગઠનની રચના કર્યા બાદ લોકસભાના ઉમેદવારની શોધખોળ કરવાની કવાયત હાથ ધરવા નક્કી કર્યુ છે. જેમાં કૉંગ્રેસ દ્વારા જનતાના અભિપ્રાયના આધારે ઉમેદવાર પસંદ કરવા પર ફોક્સ કર્યું છે. આ વખતે સંગઠનના હોદ્દેદારો જ નહીં, મતવિસ્તારની જનતાનો અભિપ્રાય લઇને ઉમેદવારની પસંદગી કરવા સ્ટ્રેટેજી ઘડાઇ છે. જેના કારણે મતદારોની પસંદગીના ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળાય તો જિતી શકે. એટલે, કૉંગ્રેસ પેરાશુટ ઉમેદવારોના બદલે જમીની સ્તરથી પસંદ કરાયેલ ઉમેદવાર મેદાનમાં ઉતારશે.
2014માં તમામ બેઠક ભાજપને મળી
2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાંથી એક પણ બેઠક મળી નહોતી. એટલે કે, રાજ્યની તમામ 26 બેઠકો પર ભાજપ જિત્યું હતું. પરંતું, આ વખતે કોંગ્રેસ માટે જિતનો વિશ્વાસ સર્જાયો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ બેઠકો વધી છે તે જોતાં કોંગ્રેસને ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા જોવાઇ રહી છે. આ કારણોસર કોંગ્રેસે પણ પ્રજાલક્ષી કામ કરનારાં દાવેદારોને ટિકિટ આપવા મન બનાવ્યુ છે. કૉંગ્રેસ પોતાનો સારો દેખાવ જાળવી રાખે તે માટે પ્રજા વચ્ચે રહેનારા નેતાઓને જ ઉમેદવાર બનાવવા સ્ટ્રેટેજી તૈયાર કરી છે.
ઉમેદવારોની પસંદગી જનતાના અભિપ્રાયથી કરાશે
કૉંગ્રેસ ઉમેદવારો લોકોની પસંદગી કરતી વખતે મતવિસ્તારમાં દાવેદારો વિશે જનતાનો અભિપ્રાય લેશે. લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે પસમદગી સમિતિ પણ બનાવવામાં આવશે. આ પસંદગી સમિતિના અભિપ્રાયની સાથે સાથે જનતાની માંગણીને ધ્યાનમાં રાખીને ઉમેદવાર નક્કી કરવા નવી રણનીતિ પર કૉંગ્રેસ વિચાર કરી રહી છે.
અનેક નેતાઓનું દિલ્હી લોબિંગ ચાલું
હાલમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જિતેલા કેટલાક ધારાસભ્યો હવે સંસદસભ્ય બનવા તૈયારી કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ, વિરજી ઠુમર સહિતના ધારાસભ્યો અગાઉ સંસદસભ્ય રહી ચૂક્યાં છે. જોકે,અત્યારથી જ દાવેદારોએ દિલ્હીના આંટાફેરા શરુ કરી લોબિંગ શરુ કરી દીધું છે. આ ઉપરાંત અન્ય ઘણા વર્તમાન ધારાસભ્યો અને વિધાનસભા ચૂંટણીમાં પરાજિત થયેલા ઉમેદવારો પણ સાંસદ બનવાના સ્વપ્ન જોવા લાગ્યા છે.
સંગઠનમાં લાવશે બદલાવ
હાલમાં કૉંગ્રેસ સંગઠનમાં બદલાવ લાવવા મથામણ કરી રહ્યુ છે. ખાસ કરીને જિલ્લા અને તાલુકા તેમજ શહેરી માળખામાં નવા ચહેરાઓ ઉતારવામાં આવી શકે છે. તાલુકા-જીલ્લાના માળખાને આખરી ઓપ આપવામાં આવ્યા બાદ પ્રદેશના માળખાની રચના કરવામાં આવશે. આ દરમિયાન,લોકસભામાં જુદી જુદી બેઠકો પણ કયા ઉમેદવાર જીતી શકે છે તે અંગે અત્યારથી કોંગ્રેસે મનોમંથન શરુ કરી દીધુ છે. સામાજિક અને જાતિવાદી ગણીતની સાથે સાથે લોક પ્રભાવ ધરાવતા ઉમેદવારો અંગે મંથન ચાલી રહ્યું છે.
રાહુલ ગાંધી લેશે ગુજરાતની મુલાકાત
કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી પહેલાં કાર્યકરોને માર્ગદર્શન આપવા આગામી 22-23 મી જૂને અમદાવાદ આવે તેવી શક્યતા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આમંત્રણને સ્વિકારી રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસની મુલાકાત કરશે. રાહુલ ગાંધીની બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ વિવિધ સમાજના આગેવાનો, વેપારી મહામંડળના પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો સાથે તબક્કાવાર બેઠક પણ કરશે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલાં શહેરના સંગઠન માળખાની પણ આખરી ઓપ આપી દેવામાં આવશે.
2019 પહેલાં પરિવર્તનનો પવન
ગતરોજ દેશમાં ચાર લોકસભા અને અગિયાર વિધાનસભાની પેટાચૂંટણીના જાહેર થયા. તેમાં વિપક્ષની એકતાના કારણે ભાજપને ફટકો પડ્યો છે. પરિણામોમાં ભાજપ પરાસ્ત થયુ છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં પરીવર્તનનો પવન ફુંકાઇ રહ્યો છે. પેટા ચૂંટણીમાં પ્રજાએ ભાજપને જાકારો આપ્યો છે. આ પરિણામો ભાજપના નેતાઓના અહંકારનુ પરિણામ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં દેશમાં પરિવર્તન નિશ્ચિત છે.