Cyclone Biparjoy: વાવાઝોડાની અસરને પગલે 95 ટ્રેનો રદ, 37,000 લોકોનુ સ્થળાંતર
Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડુ જખૌ બંદર નજીર ત્રાટકે તે પહેલા મંગળવારે દરિયાકાંઠાના 8 જિલ્લાઓમાંથી 37,794 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડા બિપરજોયની અસર 12 જિલ્લાઓમાં જોવા મળશે. જેના માટે ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. વાવાઝોડાની અસરને પગલે રેલવેએ રાજસ્થાનથી પોરબંદર, ભૂજ, ઓખા અને ગાંધીનગર જતી અમુક ટ્રેનો આંશિક અને અમુક ટ્રેનો સંપૂર્ણપણે રદ કરી દીધી છે.

પશ્ચિમ રેલવેએ 15 જૂન સુધી ગુજરાતના બિપરજોય પ્રભાવિત વિસ્તારોમાં આશરે 95 ટ્રેનોને રદ કરવાની અથવા ટૂંકા ગાળા માટે રદ કરવાની જાહેરાત કરી છે તેમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
વાવાઝોડાની સંભવિત અસરને જોતા સાવચેતીના ભાગ રુપે દરિયાકાંઠાના આઠ જિલ્લાઓમાં 4050 હોર્ડિંગ્ઝ હટાવી દેવામાં આવ્યા છે. ભારે વરસાદ કે વાવાઝોડાને કારણે સંચાર પ્રણાલીને પડતી અસરને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે સેટેલાઇટ ફોન, હેમ રેડિયો ઓપરેટર અને G-SWAN નેટવર્કની સેવાઓ પણ તૈયાર રાખવામાં આવી છે. મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, મોબાઇલ સર્વિસ ઓપરેટરોને તકેદારીના ભાગરૂપે વૈકલ્પિક ટાવર ચલાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે રાતે ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈ લેવલની બેઠક બોલાવી હતી. ગુજરાત સરકારના એક અધિકારીના જણાવ્યા મુજબ, 'આઠ જિલ્લાઓ કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટમાંથી કુલ 37,794 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કચ્છમાં, 40 હજારથી વધુ ફૂડ પેકેટ્સ - બે હજાર કિલોગ્રામ દૂધ પાવડર, 45 હજાર ટેટ્રા પેક દૂધના જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.'
સરકાર દ્વારા અત્યાર સુધી અનેક પગલા લેવામાં આવ્યા છે. હાલમાં NDRFની 15 ટીમો અને SDRFની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગની કુલ 115 ટીમો અને વીજ વિભાગની 597 ટીમો સંભવિત આપત્તિ માર્ગ અવરોધો, વીજ પુરવઠાની પ્રતિકૂળ અસરો સામે સમારકામ અને પુનઃસ્થાપન માટે તૈયાર છે.
વાવાઝોડા માટેની તૈયારીઓનું મૂલ્યાંકન કરવાના હેતુથી વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકારને વીજળી, ટેલિકોમ્યુનિકેશન, આરોગ્યસંભાળ અને સ્વચ્છ પીવાનું પાણી જેવી આવશ્યક સેવાઓની જોગવાઈ સુનિશ્ચિત કરતી વખતે સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા રહેવાસીઓને સુરક્ષિત વિસ્તારોમાં સ્થાનાંતરિત કરવાની સુવિધા આપવાનો નિર્દેશ આપ્યો હતો.
અમદાવાદ આઈએમડીના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે ચક્રવાત કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખાઉ બંદર નજીક 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની સાથે 15 જૂનની સાંજે 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.
તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના દરિયાકાંઠાના ભાગોમાં, ખાસ કરીને કચ્છ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વાવાઝોડુ લેન્ડફોલ કરે અને નબળુ પડ્યા પછી, ચક્રવાતની હિલચાલ ઉત્તર-પૂર્વ તરફ રહેવાની સંભાવના છે અને તે દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધવાની ધારણા છે. તે 15-17 જૂન સુધી ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે.












Click it and Unblock the Notifications
