નર્મદા ડેમ: 56 વર્ષ પૂર્ણ થનારા આ ડેમ વિષે જાણો ખાસ વાતો
સરદાર સરોવર ડેમનું 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ધાટન કરશે. નોંધનીય છે કે આ ડેમ વિશ્વનો બીજો સૌથી વિશાળ ડેમ છે. ત્યારે નર્મદા ડેમ વિષે આવી જ કેટલીક રસપ્રદ વાતો જાણો અહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર 2017ના રોજ સરદાર સરોવર બંધનું લોકાર્પણ કરશે. નોંધનીય છે કે આ યોજનાનું ખાતમૂહૂર્ત વર્ષ 1961માં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ કર્યું હતું. અને આજે 56 વર્ષ બાદ આ પ્રોજેક્ટ જ્યારે પૂર્ણ થઇ રહ્યો છે ત્યારે તેને દેશને સમર્પિત પીએમ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. નર્મદા ડેમની ઊંચાઇ અને ડેમના કારણે પુનવર્સનની સમસ્યાનો ઉકેલ ન આવવાના કારણે આ ડેમનું કામ પૂર્ણ થવામાં વાર લાગી હતી. નોંધનીય છે કે આ ડેમ દુનિયાનો બીજો સૌથી મોટો ડેમ છે. અને અમેરિકાના ગ્રાન્ડ કુલી ડેમ પછી તેનો નંબર આવે છે. ત્યારે જાણો શું વિશેષતાઓ છે આ ડેમની.
30 દરવાજા
સરદાર સરોવર ડેમ કે નર્મદા ડેમમાં 30 દરવાજાઓ છે. દરેક ગેટનું વજન 450 ટન જેટલું છે. આ દરવાજાઓને ખોલવા જતા અને બંધ કરવા જતા જ કલાકનો સમય લાગે છે. આ ડેમમાં 4.73 મિલિયન ક્યૂબિક મીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે.
ડેમ અને મુશ્કેલીઓ
નોંધનીય છે કે જ્યારથી ડેમને બનવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી ત્યારે જ તે વિવાદોમાં રહ્યો છે. 1985માં મેધા પાટકર અને અન્ય સામાજિક કાર્યકર્તાઓએ આ ડેમને લઇને વિરોધ કર્યો હતો. આ ડેમના કારણે અનેક લોકોના ઘરોનું સ્થાળાંતર કરવામાં આવ્યું હતું પણ સરકાર દ્વારા તેમના પુનર્વસનની યોગ્ય વ્યવસ્થા અને સહાય ન કરવામાં આવતા આ લોકોએ સરકારના પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. વળી તેની ઊંચાઇના કારણે લઇને વિવાદ થયો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે તબક્કા વાર તેની ઊંચાઇ વધારવા માટે છૂટ આપી હતી.
ઊંચાઇ
હાલ નર્મદા ડેમની ઊંચાઇ 138 મીટર છે. ભારતમાં કોઇ પણ અન્ય ડેમ આટલી ઊંચાઇ નથી ધરાવતો અને આ સાથે જ તે દેશનો સૌથી ઊંચો ડેમ બની ગયો છે. સાથે જ તેમાંથી જે વિજળી ઉત્પન્ન થાય છે તેનાથી અત્યાર સુધીમાં આ ડેમે 16,000 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
પીએમ કરશે ઉદ્ધાટન
ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરના રોજ તેનું લોકાર્પણ કરશે. આ પહેલા આ ગેટના દરવાજા પર વિવિધ લાઇટો લગાવી સુંદર રોશની કરવામાં આવી છે. જેને જોવા હાલ મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે. ચોક્કસથી આ ડેમથી ગુજરાતના અનેક લોકોને ફાયદો થશે. અને ખાલી ગુજરાત જ નહીં રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા રાજ્યો પણ આ ડેમનો લાભ લઇ રહ્યા છે. આમ દેશ માટે પણ આ ડેમ ખૂબ જ મહત્વ ધરાવે છે.