દિવાળીના દિને “શ્રી શ્રી”મય બનશે સાક્ષરભૂમિ
નડીયાદ [રાકેશ પંચાલ] આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર મહારાજ ઓક્ટોબર મહિનાની 30મી ઓક્ટોબરથી ગુજરાતની મુલાકાતે છે. આ સાત દિવસ દરમ્યાન ગુજરાતના વિવિધ શહેરોની મુલાકાત લેશે. પરંતુ જેમાં ભાવનગર, વ્યારા, વડોદરા, અમદાવાદ અને નડિયાદ જેવા નાના-મોટા શહેરોનો સમાવેશ થાય છે. પરંતુ આ વખતની દિવાળી નડિયાદવાસીઓ માટે ખાસ બની જવા પામી છે. કારણે કે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર મહારાજ દાયકાઓ બાદ નડિયાદના આંગણે પધારી રહ્યાં છે.
ખેડા જિલ્લાના નડિયાદ શહેર ખાતે ત્રીજી નવેમ્બરના રોજ દિવાળીના દિવસે ઉપસ્થિત રહેશે. જેને પગલે તેમના અનુયાયીઓમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે. નડિયાદ ખાતે દિવાળીના દિને સાંજે સાડા પાચ કલાકે સંગાથ પાર્ટી પ્લોટ સામે આવેલા મેદાનમાં લક્ષ્મીપૂજન અને મહાસત્સંગનો કાર્યક્રમ થશે. જેમાં અંદાજે વીસ હજાર જેટલા શ્રદ્ધાળુઓ હાજર રહેશે ઉપરાંત આ કાર્યક્રમનું લાઈવ વેબકાસ્ટ પણ કરવામાં આવશે. જેથી દેશ વિદેશના લાખ્ખો ભાવિક ભક્તો તેનો લાભ લઈ શકે. આ ઉપરાંત આ દિવસે શ્રી શ્રી રવિશંકર મહારાજ સંતરામ મંદિરના ગાદીપતિ સદગુરૂ શ્રી રામદાસજી મહારાજની મુલાકાત લેશે.
અનુયાયીઓ તેમજ આર્ટ ઓફ લિવિંગના મીડીયા કોર્ડીનેટર વિજય શાહના મતે શ્રી શ્રી રવિશંકર મહારાજ નડિયાદ ખાતે દસ વર્ષ પહેલા આવ્યાં હતા. તે વખતે તેઓ સંતરામ મંદિર ખાતે નારાયણદાસજી મહારાજને મળવા આવ્યાં હતાં. પરંતુ તે વખતે તેની અંગત મુલાકાત હતી. પરંતુ આ વખતે પ્રથમ વખત તેઓ નડિયાદ ખાતે દિવાળી જેવા શુભ દિને પોતાના અનુયાયીઓ સાથે રૂબરૂ થશે. જેને પગલે ચરોતર પંથકના અનુયાયીઓમાં ભારે ઉત્સાહ છે. અને આ દિવાળી અમારી માટે ખાસ બની જવા પામી છે. ધણા સમયથી અનુયાયીઓ આ ખાસ દિવસથી રાહ જોઈને બેઠા હતા. જેની ઈચ્છાપૂર્તિ દિવાળીના દિને થશે. જે દિવસે લક્ષ્મીપૂજન અને મહાસત્સંગ થશે.
મહાસત્સંગ સમયે શ્રી શ્રી રવિશંકર મહારાજ તેમના અનુયાયી દ્રારા પુછતા પ્રશ્નો જવાબ આપતા હોય તે પ્રકારના દ્રશ્યો અનેક મહાસત્સંગમાં મળ્યું છે. અને આ વખતે દિવાળીના દિવસે નડિયાદ જેવા નાના શહેર મહાસત્સંગમાં તેમની ઉપસ્થિતિ ખાસ બની રહેશે. ગત વર્ષે 2012ના ડિસેમ્બર મહિનાથી સામાજીક જાગૃતિ અને લોક કલ્યાણના હેતુથી શ્રી શ્રી રવિશંકર મહારાજ અને આર્ટ ઓફ લિવિંગના યુવા કાર્યકર્તાઓ દ્રારા દેશભરમાં વોલંટીયર ફોર બેટર ઈન્ડિયા અને આઈ વોટ ફોર બેટર ઈન્ડિયા હેઠળ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.
જે સંદર્ભે પણ શ્રી શ્રી રવિશંકર મહારાજ થોડું વધારે માર્ગદર્શન કરશે જેથી અનેક યુવાવર્ગ આ આંદોલન સાથે જોડાઈ શકે. દિવાળી જેવા શુભ દિને દેશ વિદેશભરના અનુયાયીઓની નજર નડિયાદ શહેર ખાતે રહેશે. જે કારણોસર કાર્યક્રમને લાઈવ વેબકાસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મહાસત્સંગનો લાભ લઈને નાના શહેરોમાં વસેલા શ્રી શ્રી રવિશંકર મહારાજના અનુયાયીઓને રૂબરૂ સાક્ષાત્કાર થવાનો લ્હાવો મળશે જે દાયકાઓની તપસ્યા બાદ શક્ય બન્યો છે.