ગુજરાતમાં ખેડૂતો કરે છે સૌથી વધુ આત્મહત્યાઃ મોઢવાડિયા
આપઘાતના કારણે જિંદગી ટૂંકાવી દેવાના બનાવોમાં 71.42 ટકા પરણિત પરિવારના સભ્યો આત્મહત્યા કરે છે. પરણિત કુટુંબના પુરુષ અને સ્ત્રીની આત્મહત્યાથી સીધી અસર સમગ્ર પરિવાર પર થાય છે અને પરિવાર છિન્નભિન્ન થાય છે.
ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં આત્મહત્યાનં પ્રમાણ ગંભીર અને ચિંતાજનક રીતે વધી ગયું છે, જેની પાછળનું કારણ આર્થિક દબાણ, સરકાર દ્વારા સામાન્ય વ્યક્તિઓ અને નાના સમૂહોના પ્રશ્નો સાંભળવાની વહીવટીતંત્રની ઉપેક્ષા હોવાનું મોઢવાડિયાએ કહ્યું છે.
મોઢવાડિયાએ આત્મહત્યા કરનારાઓની વર્ગીકૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, 21થી 30 વર્ષના 13,486 યુવક-યુવતીઓએ આત્મહત્યાકરી હતી, જે ટકાવારીની દ્રષ્ટિએ 36.2 ટકા છે, 31થી 40 વર્ષના લોકોમાં ટકાવારીની દ્રષ્ટિએ આત્મહત્યાનું પ્રમાણ 23.1 ટકા છે. આત્મહત્યા કરનારાઓમાં મોટાભાગના 40 વર્ષથી નાની ઉમરના છે. રાજ્યના વિકાસમાં મહત્તમ ફાળો આપનાર એકવીસમી સદીની આ પેઢી અનેકવિધ આર્થિક-સામાજિક પ્રશ્નોથી ઘેરાયેલી છે. સરકારે આ દિશામાં નક્કર કામગીરી કરવી જરૂરી છે.
તેમણે વધુંમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં 7.062 ખેડૂતોએ આત્મહત્યા કર્યો છે. આત્મહત્યાના સૌથી વધારે બનાવો સૌરાષ્ટ્ર-કચ્છમાં બની રહ્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા દસ વર્ષમાં 16,403 લોકોએ આત્મહત્યા કરી છે. જેમાં સાત જિલ્લાઓમાં થયેલી આત્મહત્યાઓમાં મહિલા અને પુરુષનું પ્રમાણ સરખુ છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પરુષો કરતા મહિલાનું પ્રમાણ વધારે છે.