5માં કાંકરિયા કાર્નિવલનું મુખ્યમંત્રીએ કર્યું ઉદઘાટન
અમદાવાદ, 25 ડિસેમ્બર: અમદાવાદમાં આવેલા કાંકરિયામાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્રીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદી આજે સાંજે કાર્નિવલનું વિધિવત ઉદઘાટન કર્યુ હતું, અને અત્રે ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે મોદીએ નવી યોજનાઓ, અને બીઆરટીએસના નવા રૂટનું ઉદઘાટન કર્યું હતું. કાંકરિયા કાર્નિવલનું આ પાંચમી વખત આયોજન થઇ રહ્યું છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાઓએ દીપ પ્રાગટ્ય કરીને કાંકરિયા કાર્નિવલ 2012નું વિધિવત ઉદઘાટન કર્યું હતું. મોદીએ આ પ્રસંગે લોકોનુ અભિવાદન કરતા જણાવ્યું હતું કે 'આપે મને અને મારી પાર્ટીને ત્રીજી વખત ગુજરાતની ડોર સંભાળવાની તક આપી તેના બદલ આપનો આભર માનું છું.'
મોદીએ કાંકરિયામાં આવતા તમામ બાળકોનું પણ અભિવાદન કરતા જણાવ્યું હતું કે 'આ બાળકોમાં અપ્રતિમ શક્તિઓ છુપાયેલી છે, માત્ર એને પારખવાની અને તેને ખીલવા દેવાની જરુર છે. કાંકરિયાની શાન આ બાળકોથી છે અને એ જાગૃત નાગરિકોથી છે જેઓ આની સારસંભાળ રાખી રહ્યા છે.'
કાંકરિયા કાર્નિવલનું આયોજન 2008થી અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. કાંકરિયા કાર્નિવલનું આજે 25 ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરાયા બાદ ખુલ્લુ મુકવામાં આવશે જે 31 ડિસેમ્બર સુધી ચાલશે.
કાર્નિવલમાં આતિશબાજી, લેશર શો, એકવા કાર્ટિંગ, બોટિંગ, વિવિધ સ્ટેજ શો અને સ્કાય ડાઇંગ જેવા આકર્ષણો રહેશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે કાર્નિવલને માણવા માટે લાખોની જનમેદની ઉમટી પડે છે.
નોંધનીય છે કે મોદીએ 2006માં કાંકરિયા કાર્નિવલનું સપનું સેવ્યું હતુ. 2006થી કાંકરિયાનું રિનોવેશનનું કામ આરંભાયું હતું. બાદમાં તેને નવપલ્લવિત કરીને 2008માં પ્રથમ વખત કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.