ભાજપી કાર્યકર જેઠા ભરવાડ પર ગોળીબાર
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાની શહેરા બેઠકના ભાજપી ઉમેદવાર અને કોંગ્રેસી ઉમેદવાર છોટુ ભાઇ ભરવાડની વચ્ચે મતદાન કરવાની બાબતમાં તકરાર થઇ હતી. જેમાં બંને પક્ષોના ઉમેદવારો વચ્ચે મારામારી થઇ હતી. બંને પક્ષો વચ્ચે સામસામે ખાનગી ગોળીબાર થયો હોવાના સમાચાર પણ છે.
કોંગ્રેસી કાર્યકરોએ જેઠા ભરવાડ પર હોકી અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો જેના બચાવમાં જેઠા ભરવાડના અંગરક્ષકે 8 રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આ હુમલામાં છોટુભાઇ ભરવાડને માથાના ભાગમાં ગોળી વાગવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. તેમજ જેઠાભાઇ ભરવાડને પણ ગંભીર ઇજા થવાના કારણે તેમણે ગોધરા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ખાનગી ગોળીબાર દ્વારા અને તકરારના કારણે નાસભાગ મચી ગઇ હતી. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. પોલીસે પણ અંદરો અંદર લડી રહેલા ઉમેદવારો અને તેમના કાર્યકરોને છૂટા પાડવા માટે ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અર્જુન મોઢવાડિયાએ આ અંગે જણાવ્યું હતું કે 'કોંગ્રેસી કાર્યકરોએ જેઠાભાઇ ભરવાડ ઉપર હુમલો કર્યો નથી, બલકે તેમણે અમારા કાર્યકરો પર ગોળીબાર કર્યો છે અને તેમાં અમારા ત્રણ કાર્યકરો ઘાયલ થયા છે. જે અંગે પોલીલ વધુ તપાસ કરી રહી છે.' મોઢવાડિયાએ કોંગ્રેસી કાર્યકરોએ જેઠાભાઇ ભરવાડ પર કરેલા હુમલાના મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા હતા