અમદાવાદના ડૉ. મનોજ વોરાએ માઉન્ટ એવરેસ્ટ શિખર કર્યું સર
અમદાવાદ, 2 જૂન: મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના એક ખમીરવંતા ગુજરાતી અને વ્યવસાયે તબીબ એવા ડૉ. મનોજ વોરા જેમણે અખૂટ આત્મવિશ્વાસથી હિમાલયના ઉત્તુંગ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું તે માટે ડૉ. મનોજ વોરાને અંતઃકરણથી અભિનંદન આપ્યા હતા. મૂળ અમદાવાદના ડૉ. મનોજ વોરા બાવન વર્ષીય ધર્મે જૈન છે, સંપૂર્ણ શાકાહારી એવા તબીબ છે અને માઉન્ટ એવરેસ્ટ ઉપર વિજ્ય મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીની તેમણે તેમના પરિવાર સાથે મૂલાકાત લીધી હતી અને શુભેચ્છા પ્રાપ્ત કરી હતી.
મૂળ અમદાવાદના ડૉ. મનોજ વોરાએ તાજેતરમાં તા.રરમી મે-ર૦૧૩ના દિવસે સૌથી ઊંચા શિખર-પર્વત માઉન્ટ એવરેસ્ટ પર પગ મૂકી ગુજરાતનું ગૌરવ વિશ્વભરમાં વધાર્યું છે. ડૉ. મનોજ વોરાએ દ્રઢ મનોબળ અને અદમ્ય સાહસ-શૌર્યભાવથી જૈનધર્મનું મહાત્મ્ય કરતાં, "નમો" નવકાર મંત્રના જાપ રટતાં, એવરેસ્ટ પર્વતમાળાઓ સર કરી તેની સાહસ ગાથાની રોમાંચક સ્વાનુભૂતિ મુખ્યમંત્રી સમક્ષ વર્ણવી હતી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
૪૩ વર્ષની વયે પર્વતારોહણની રોમાંચક સાહસ યાત્રાની શરૂઆત કરનારા ડૉ. મનોજ વોરા સને ર૦૦૪ થી ર૦૧૦ દરમ્યાન વિશ્વના સાત સૌથી ઊંચા પર્વત શિખરો પણ સર કરી ગુજરાતના ગૌરવને વૈશ્વિક પ્રતિષ્ઠા અપાવી ચૂક્યાં છે. મુખ્યમંત્રીએ મીતભાષી ડૉ. મનોજ વોરાની આ સાહસ સિધ્ધિને બિરદાવતાં તેમને યુવા પેઢી માટે સાહસ-શૌર્યના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા તથા તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
ડૉ. મનોજ વોરાએ ગુજરાતના યુવાનોમાં કૌશલ્ય વિકાસ તેમજ ખેલકૂદ-સાહસ વૃત્તિ-પ્રવૃત્તિના વિકાસ માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાથી પોતે અત્યંત પ્રભાવિત થયા છે તેમ જણાવ્યું હતું અને તેમના વયોવૃધ્ધ માતા-પિતા રસિકભાઇ અને શ્રીમતી ભાનુબહેને મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતની અવિરત વિકાસયાત્રાની શુભેચ્છા પાઠવતો સંદેશ મુખ્યમંત્રીને પાઠવ્યો હતો.
ડૉ. મનોજ વોરાએ "નમો" નવકાર મંત્રમાં જાદુઇ શક્તિ છે અને તેનાથી માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું આ સોપાન ચડતાં અદ્ભૂત ચેતના પ્રાપ્ત કરી હતી એમ પણ જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ ડૉ. મનોજ વોરાના નાના બહેન માલિની બહેનને ઓટોગ્રાફને બદલે જે તત્કાળ પ્રતિભાવથી શિધ્ર કવિતા લખી આપી તે અંગે પણ તેમણે અહોભાવ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્ર મોદીની સર્જનાત્મક શકિત સાથે વહીવટી કુશળતા સમગ્ર યુવાપેઢીને પ્રેરણા આપે છે. તેમણે યુવાનોને જીવન સાર્થક બનાવવા માટે મોટા સપના જોવા અને તેને સાકાર કરવા માટેનો પરિશ્રમ ઉઠાવવા અપિલ કરી હતી.