ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનુ 92 વર્ષની વયે નિધન
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ 92 વર્ષની વયે નિધન થયુ છે.
ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ 92 વર્ષની વયે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયુ છે. તબિયત લથડી જવાના કારણે તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી તેમની તબિયતમાં સુધારો આવતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા પરંતુ આજે અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનુ નિધન થયુ હતુ. ઉલ્લેખનીય છે કે કેશુબાપાને કોરોના થયા બાદ ફેફસા અને હ્રદયની પણ તકલીફ શરૂ થઈ ગઈ હતી જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રાજ્યના મુખ્યમંત્રી સીએમ રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નિતિન પટેલે દુઃખ વ્યક્ત કર્યુ. સીએમ વિજય રૂપાણીએ કહ્યુ કે તેમના નિધનથી ગુજરાતને મોટી ખોટ પડી છે. હાર્દિક પટેલે કહ્યુ કે કેશુબાપા રાજ્યના પનોતા પુત્ર હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
કેશુભાઈ પટેલનો જન્મ જૂનાગઢના વિસાવદર ખાતે 24 જુલાઈ 1928ના રોજ થયો હતો. 1945માં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. 1975માં ઈમરજન્સી દરમિયાન તેમને જેલમાં પણ જવુ પડ્યુ હતુ. કેશુભાઈ પટેલ 1995 અને 1998થી 2001 દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ 1980થી ભાજપના સભ્ય હતા.
દરેક નાગરિકને ફ્રીમાં મળશે કોરોનાની વેક્સીનઃ પીએમ મોદી