ગુજરાત: ચાર લોકોને ચાર મહિનામાં ફરીથી કોરોનાનો ચેપ લાગ્યો
ગુજરાત: ચાર લોકોને ચાર મહિનામાં ફરીથી કોરોનાનો ચેપ લાગ્યો

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર અમદાવાદમાં ચાર મહિના બાદ ચાર લોકો ફરીથી કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
ચાર લોકોમાં એક ગુજરાત કૅન્સર રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટર છે, જ્યારે બે એલજી હૉસ્પિટલના ડૉક્ટર છે અને એક 60 વર્ષનાં ગૃહિણી છે.
આ તમામ લોકો અગાઉ એપ્રિલ 13 થી એપ્રિલ 21ની વચ્ચે કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યારબાદ હાલ ઑગસ્ટ 18થી સપ્ટેમ્બર 6ની વચ્ચે ફરીથી સંક્રમિત થયા છે.
હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કરવામાં આવેલા સીરો પૉઝિટિવિટી સર્વેમાં કોરોના વાઇરસથી સંક્રમિત થઈને સાજા થયેલાં 40 ટકા લોકોમાં કોરોના વાઇરસના ઍન્ટિબૉડી ગાયબ થયાનું જાણવા મળ્યું હતું.
આ ચાર લોકોમાંથી એક 60 વર્ષીય ગૃહિણીમાં જ ઍન્ટિબૉડી જોવા મળ્યાં છે. જ્યારે બાકીના ત્રણ ડૉક્ટરમાં ઍન્ટિબૉડી જોવા મળ્યાં નથી.
ડિસઇન્ફેકટન્ટ ટનલ શારીરિક અને માનસિક રીતે હાનિકારક છે : સરકાર
ધ વાયરના અહેવાલ અનુસાર સોમવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ડિસઇન્ફેક્ટન્ટ ટનલ આરોગ્ય માટે શારીરિક અને માનસિક એમ બંને રીતે હાનિકારક છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે સરકારને પ્રશ્ન પૂછયો હતો કે કોરોના વાઇરસને ધ્યાનમાં લઈને કિટાણુને દૂર કરવા ડિસઇન્ફેક્ટન્ટ ટનલના ઉપયોગ કરવા પર પ્રતિબંધ કેમ નથી મૂક્યો?
આ સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું કે સરકાર દ્વારા ડિસઇન્ફેકટન્ટ ટનલના ઉપયોગની ભલામણ કરવામાં નથી આવી અને તે માણસો માટે શારીરિક અને માનસિક રીતે હાનિકારક છે.
સુપ્રીમ કોર્ટે સરકાર કેમ પ્રતિબંધ નથી મૂકી રહી તેવો પ્રશ્ન પણ પૂછ્યો હતો. ત્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સરકાર યોગ્ય આદેશ જાહેર કરશે.
સુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા બે કામદારના ગૂંગળામણથી મૃત્યુ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સુરતના નાનપુરા વિસ્તારમાં સ્ટ્રોમ વોટરની ગટરમાં ઉતરનાર બે વ્યક્તિઓનું ગૂંગળામણના કારણે મૃત્યુ થયું છે.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જણાવેલી માહિતી પ્રમાણે બંને લોકો ખાનગી કોન્ટ્રાક્ટરના માણસો હતા.
જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોએ ગટરમાં આ બે માણસને પડેલાં જોયા ત્યારે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. હાજર લોકોએ ફાયર બ્રિગેડને ફોન કરતા તેમણે બહાર કાઢ્યા.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઉચ્ચ અધિકારીએ કહ્યું, "સ્ટ્રોમ વોટર લાઇનનું કામ ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું હતું. તેમના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે તપાસ સોંપવામાં આવી છે. જ્યારે આ ઘટના ઘટી ત્યારે તેઓ વાલ્વ ચૅમ્બરમાં હતા."
શિક્ષકને મારી નાખનાર આરોપીની ભીડે પોલીસ સામે હત્યા કરી નાખી
https://www.youtube.com/watch?v=WEfG5l-oN7U
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં એક શિક્ષકની હત્યાના આરોપીની ભીડે પોલીસની સામે માર મારીને હત્યા કરી નાખી છે.
કુશીનગરમાં એક શિક્ષક સુધીર સિંહની હત્યા તેમના ઘરમાં કરી દેવામાં આવી હતી. હત્યા કરનાર વ્યક્તિ ભીડ એકઠી થઈ જતા આત્મસમર્પણ કરવા માગતો હતો.
હાજર લોકોનો ગુસ્સો બેકાબૂ હતો અને પોલીસની સામે જ યુવાન પર તૂટી પડ્યા. પોલીસે લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ તે સમજાવવા નાકમયાબ રહી.
આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો છે. પોલીના કહેવા પ્રમાણે વ્યક્તિ ગોરખપુરનો હતો અને તેણે તેના પિતાની બંદૂકથી શિક્ષકની હત્યા કરી હતી.


- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?












Click it and Unblock the Notifications
