Gambhira bridge collapse : ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે વિધાનસભામાં હંગામો, સરકારે 148 પુલ ભારે વાહનો બંધ કર્યા
Gambhira bridge collapse : હાલમાં જ બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો પડઘો ગુજરાત વિધાનસભામાં પડ્યો છે. આ દુર્ઘટનામાં થયેલા મૃત્યુ અને ત્યારબાદ સરકારે લીધેલા પગલાં અંગે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે સત્તાવાર માહિતી આપી.
સરકારે ગૃહમાં સ્વીકાર્યું કે આ દુર્ઘટનામાં કુલ 22 લોકોનાં મૃત્યુ થયા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને બેદરકારી દાખવનાર ચાર અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.

ગંભીરા બ્રિજની ઘટના બાદ રાજ્ય સરકારે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે રાજ્યભરના તમામ પુલોની તાત્કાલિક ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. માર્ગ અને મકાન (R&B) વિભાગ હેઠળ આવતા કુલ 1054 મોટા પુલ (મેજર બ્રિજ), 5475 નાના પુલ (માઇનોર બ્રિજ) અને 239 સીડી સ્ટ્રક્ચર (CD Structure) નું ફરીથી નિરીક્ષણ કરવામાં આવ્યું.
આ સઘન નિરીક્ષણના પરિણામો ચોંકાવનારા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રાજ્યના 148 પુલો ભારે વાહનોની અવરજવર માટે અસુરક્ષિત છે અને તેમને તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી. આ ઉપરાંત 18 પુલોની સ્થિતિ એટલી ગંભીર હતી કે તેમને તમામ પ્રકારના વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
