ગાંધીનગરમાં બે દિવસ સુધી દબાણ અને સિલિંગના મુદ્દે વેપારીઓનું બંધનું એલાન
ગાંધીનગરમાં બે દિવસ સુધી દબાણ અને સિલિંગના મુદ્દે વેપારીઓનું બંધનું એલાન
રાજ્યમાં હાઇકોર્ટના આદેશમના પગલે દબાણ દુર કરવાની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દબાણ અને સીલિંગની કાર્યવાહી એક મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે. છેલ્લા એક માસથી દબાણ અને સિલિંગનો સામનો કરી રહેલા ગાંધીનગરના વેપારીઓએ આ મુદ્દે તંત્ર સામે લડી લેવાનું નક્કી કર્યુ છે. દબાણ સામે વેપારીઓએ આજે ગાંધીનગર બંધનુ એલાન આપ્યુ છે. વેપારી મંડળ દ્વારા બંધને સફળ બનાવવા માટે મોટાભાગના વેપારી એસોસિયેશને ટેકો જાહેર કર્યો છે. જે વેપારીઓની દુકાનો કાયદેસર છે તેઓ પણ બંધમાં જોડાઇ રહ્યા છે. જેના કારણે બે દિવસ પાટનગર સજ્જડ બંધ રહે તેવી શક્યતા છે..
દબાણ હટાવવામાં વપરાઇ રાજકીય વગ
ગાંધીનગર મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમે હાઇકોર્ટના આદેશના પગલે દબાણ અને સિલીંગની કાર્યવાહી છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે. આ કાર્યવાહી દરમિયાન સેક્ટર-૨૪ અને સેક્ટર 11માં ફાટી નિકળેલા દબાણો ખુલ્લા કરવામાં આવ્યા છે. તો, ક્યાંક દબાણ હટાવવાની કામગીરીમાં વહાલા દવલાની અને રાજકીય પ્રભાવનો પણ દુરપયોગ કરાયો હોવાનું લાગી રહ્યું છે.
હેતુફેરના કિસ્સામાં નોટીસ આપી સિલિંગની કાર્યાવાહી
દબાણ શાખા દ્વારા રહેણાંક મકાનમાં વાણિજ્ય પ્રવૃત્તિ કરતા વેપારીઓ પર તવાઇ બોલાવવામાં આવી હતી. જે અંતર્ગત તંત્ર દ્વારા વેપારીઓને સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપી દુકાનો ખાલી કરી દેવાની સુચના આપવામાં આવી હતી. જો, મહાનગરપાલિકા દ્વારા હેતુફેરના કિસ્સામાં સીલીંગની કાર્યવાહી કરવામાં આવે તો પાટનગરની મોટાભાગની દુકાનોને સીલ લાગી જાય તેવી સ્થિતી છે. ખાસ કરીને ધમધમતા સેક્ટર-૨૪, ૨૩, ૨૭, ૨૧, ૨૨ સહિતના વિસ્તારોમાં તેની વ્યાપક અસર થવાની શક્યતા છે. એક સમયે પેન્સન પેરેડાઇઝડ્ સિટી તરીકે ગણના પામતા પાટનગરમાં છેલ્લા ચારેક વર્ષથી ધમધમી રહ્યુ છે.
બે દિવસ સુધી વેપાર ધંધા થશે ઠપ્પ
પાટનગરની જેમજેમ વસતી વધતી ગઇ તેમ તેમ જે રીતે પાટનગરના વિકાસ માટે સરકાર નિષ્ફળ રહી હતી. વસતીની સંખ્યામાં સરકાર તરફથી કોર્મિશયલ હેતુ માટે જમીનો હરાજી કરવામાં વીલંબ કરવામાં આવ્યો હતો. જેના કારણે જે લોકોના મકાનો રોડ ટચ હતા તેઓએ હેતુફેર કરીને કોર્મિશયલ પ્રવૃત્તિ શરૂ કરી હતી. પાટનગરની કુલ દુકાનો પૈકી ૮૦ ટકા જેટલી દુકાનો હેતુફેરમાં સમાવિષ્ટ થઇ જાય છે. એટલેકે, જો તમામ સેકટરોમાં સીલીંગની કાર્યવાહી કરવામાં આવે તો પાટનગરમાં વેપારધંધા ભાંગી પડશે અને અનેક પરિવારો રાતોરાત બેરોજગાર બની જશે તેવી શક્યતા ઉભી થઇ છે. આ સ્થિતીને ટાળવા માટે અત્યારે વેપારીઓને કોઇનું પણ પીઠબળ નથી. જેના કારણે વેપારીઓએ ખુદ લડી લેવા માટે મેદાનમાં ઉતરવુ પડયુ છે. વેપારીઓએ બે દિવસ માટે બંધનું એલાન આપ્યુ છે.
તમામ વેપારી એસોશિએશન જોડાશે બંધમાં ?
વેપારીઓએ આપેલા બંધના આ એલાનને સફળ બનાવવા માટે દરેક સેક્ટરમાં ફર્યા હતા. જે સેક્ટરોમાં કાયેદસરની દુકાનો છે તેના વેપારીઓને પણ બંધમાં જોડાવવા માટે અપીલ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, વેપારીઓના બંધના એલાનને મેડિકલ એસોસિએશન, કાપડ, હેરસલુન, કરિયાણા, ઝેરોક્ષ, હાર્ડવેર, ફરસાણ, પાનપાર્લર, સાયકલ ઓટો, દુધ મંડળી વગેરે એસોશિએશન દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. આજે બે દિવસ વેપારીઓની એકતાની કસોટી થવાની છે.
તબીબો પણ કાર્યવાહીથી વેગળા રહેશે
ગાંધીનગરમાં મોટાભાગના દવાખાના રહેણાંક વિસ્તારમાં આવેલા છે. એટલે કે, રેસિડેન્સિયલ વિસ્તારમાં કમર્શિયલ પ્રવૃતિઓ વધુ ફેલાઇ રહી છે. તાજેતરમાં જ મહાનગરપાલિકા દ્વારા ડોક્ટરોને પણ હેતુફેર માટે નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ બાદ ડોક્ટર એસોશિએશન દ્વારા ઉચ્ચકક્ષાએ કાર્યવાહી બંધ કરાવવા માટે રજુઆત પણ કરવામાં આવી હતી. વેપારીઓ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને ડોક્ટર એસોશિએશન દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે. બે દિવસ ઇમરજન્સીના કિસ્સાને બાદ કરતા ડોક્ટરો પણ બંધમાં જોડાશે અને કામગીરીથી અળગા રહેશે. જેના કારણે શહેરમાં બે દિવસ તબીબી સેવા ખોરવાઇ તેવી શક્યતા રહેલી છે. તો, એક તરફ વાઇરલ ફીવર જોર પકડ્યું છે ત્યારે, તબીબી સેવા ખોરવાતાં દર્દીઓને પણ હાલાકી ભોગવવી પડી શકે છે.