મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય વ્યાપી ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ
મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ
રાજ્યમાં તાજેતરમાં મગફળીના ટેકાના ભાવમાં વધારો કરીને 1000 રૂપીયા કરવામાં આવ્યો છે. ત્યારે, આ નવા ટેકાના ભાવથી આજથી ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો 7/12ના ઉતારા તેમજ ગ્રામસેવકના દાખલા થકી પણ ઓનલાઇન નોંધણી કરી શકશે. આ અંગે રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુએ માહિતી આપી હતી.
બે કલાકમાં સર્વર થયું ઠપ્પ
કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ હતુ કે, ખેડૂતોને પાક ઉત્પાદનના વ્યાજબી ભાવ મળે તે માટે ટેકાના ભાવે પાકની ખરીદી પણ કરાય છે. જેના ભાગ રૂપે ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આજથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો રાજય વ્યાપી શુભારંભ કરાયો છે. મગફળી વેચાણ માટે માત્ર બે કલાકના સમયગાળામાં જ ૪૦૬૫ જેટલા ખેડુતોએ ઓન લાઇન નોંધણી કરાવી છે. જેમાં ૪૭૦૮ હેકટર વિસ્તારનું ઉત્પાદન થયુ છે. સૌરાષ્ટ્ર વિસ્તારના તમામ માર્કેટ યાર્ડો બંધ છે તે વાત સત્યથી વેગળી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. રાજકોટ અને જેતપુર યાર્ડ સિવાય સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છ બજાર સમિતિમાં ઓન લાઇન નોંધણી પ્રક્રિયા પુર જોશમાં ચાલી રહી છે.
122 સેન્ટર પર કરાશે ખરીદી
રાજયમાં અંદાજે ૨૬.૯૨ લાખ મેટ્રીક ટન મગફળીનું ઉત્પાદન થવાની સંભાવના છે. ત્યારે, આ મગફળીની ટેકાના ભાવે ખરીદી આગામી ૧૫ નવેમ્બરથી શરૂ કરાશે. રાજયમાં ૧૨૨ સેન્ટરો ઉપર ખરીદીની પ્રક્રીયા હાથ ધરવા માટે તથા છેવાડાના ખેડૂતોને લાભ થાય તે હેતુથી ખેડૂત પાસે ૭/૧૨ના દાખલો નહી હોય તો ગ્રામ સેવકના દાખલાના આધારે પણ ઓન લાઇન નોંધણી કરાવી શકાશે.
માર્કેટયાર્ડો પણ સહકાર માટે તૈયાર
રાજયના ખેડૂતોની મગફળીની ખરીદી ટેકાના ભાવે પારદર્શી રીતે થાય તે માટે સરકારે યોગ્ય આયોજન કર્યુ હોવાનુ જણાવ્યું હતું. રાજયમાં ભાવાન્તર યોજનાથી મગફળીની ખરીદી કરવા માટે કૃષિ વિભાગના અધિકારીઓ તથા ભારતીય કિસાન સંઘના હોદેદ્દારોને મધ્યપ્રદેશ યોજનાના અભ્યાસ માટે મોકલાયા હતા. આ સંદર્ભે એ.પી.એમ.સી.ના ચેરમેનોને આ સંપૂર્ણ માહિતગાર કરવામાં આવ્યા છે. તમામ માર્કેટયાર્ડોએ પણ ટેકાના ભાવે ખરીદી કરવા ઉત્સાહભેર સહયોગ આપવા તૈયારી દર્શાવી છે.
ભાવાન્તર યોજના અમલમાં મુકવા વિચારણા
રાજયમાં ટેકાના ભાવે ખરીદીની પધ્ધતિ અમલમાં ચાલુ રાખવા જણાવાયુ હોવાથી ખેડૂતોના હિતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય ચાલુ રાખ્યો છે. મુખ્યમંત્રી ભાવાન્તર યોજના દ્વારા મગફળીની ખરીદી થાય તેવું દલાલ મંડળ અને વેપારીઓ ઇચ્છી રહ્યા છે. તેઓને પણ રાજય સરકાર દ્વારા વિનંતી કરાઇ છે કે આપ પણ જો આ યોજના વિશે માહિતગાર થવા માંગતા હોય તો તેઓને પણ સંપૂર્ણ માહિતી આપવા રાજય સરકાર પ્રયત્નશીલ છે. રાજયમાં ભાવાન્તર યોજના અમલમાં મુકવામાં આવે તો આ યોજનામાં ગુજરાત અને અન્ય મગફળી પકવતા રાજયોની અઠવાડીક મોડલ પ્રાઇઝનો આધાર લેવાની જોગવાઇ હોઇ ખુલ્લા બજારો ઉંચા જાય તો સ્વાભાવિક રીતે ખેડૂતોને ફાયદો ન થાય. ખેડૂતોને ટેકાના ભાવ કરતાં અંદાજે ૧૦૦ થી ૨૫૦ રૂપિયા પ્રતિ ક્વીન્ટલ નુકશાન થવાની સંભાવના હોઇ ટેકાના ભાવે જ ખરીદી કરવી ખેડૂતોના હીતમાં હોઇ નિર્ણય કરાયો છે.
ખેડૂતોને ઓનલાઇન નોંધણીમાં પડી મુશ્કેલી
કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, ટેકનીકલ ક્ષતીના કારણોસર સર્વર ડાઉન થવાના કારણે જે જગ્યાએ ખેડૂતોને ઓન લાઇન નોંધણી કરાવવામાં મુશ્કેલી પડી છે. પરંતું, સમગ્ર મહિના દરમિયાન આ નોંધણી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. સર્વરની ક્ષતીઓ સત્વરે દુર કરવા વિશ્વાસ આપ્યો હતો.