દેશને શિસ્તબદ્ધ યુવાનોની જરૂર, બીએસએફના એડવેન્ચર બૂટ કેમ્પના તાલીમાર્થીઓ સાથે રાજ્યપાલનો વાર્તાલાપ
સીમા સુરક્ષા દળના એડવેન્ચર બૂટ કેમ્પમાં ભાગ લેનાર સર પદમપત સિંઘાનિયા યુનિવર્સિટી, ઉદયપુરના વિદ્યાર્થીઓને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, દેશને શિસ્તબદ્ધ યુવાનોની જરૂર છે. બીએસએફના બૂટ કેમ્પથી યુવાનોને રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને અનુશાસનનું મહત્વ સમજાય છે. તેમણે અન્ય યુવાનોને પણ બૂટ કેમ્પ માટે પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો.
રાષ્ટ્રની સરહદોનો યુવાનોને પરિચય થાય અને દેશની સુરક્ષા સંભાળતા સીમા સુરક્ષા દળ સાથે યુવાનો જોડાય એવા ઉદ્દેશ સાથે બીએસએફ દ્વારા બૂટ કેમ્પ યોજાય છે. સીમા સુરક્ષા દળ, ગુજરાત દ્વારા ત્રીજા બૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પહેલાં કૃષિ વિશ્વવિદ્યાલય, દાંતીવાડા અને કર્ણાવતી વિશ્વવિદ્યાલય, ગાંધીનગરના યુવાનો બૂટ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે.
સર પદમપત સિંઘાનિયા વિશ્વવિદ્યાલય, ઉદયપુરના યુવાનોએ બૂટ કેમ્પ દરમિયાન સીમા સુરક્ષા દળના સીમા પ્રહરિઓની કઠિન જીવનશૈલીનો પરિચય મેળવ્યો હતો.
કેમ્પ દરમિયાન યુવાનોને શારીરિક પ્રશિક્ષણ, યોગ અને હથિયારોનો પરિચય અપાયો હતો. ત્રણ દિવસના રોમાંચક બૂટ કેમ્પ દરમિયાન નડાબેટ સીમા દર્શન અને સરહદ ભ્રમણ કરાવાયું હતું.
યુવાનોમાં નેતૃત્વક્ષમતા, દેશભક્તિ સૈન્ય કૌશલ્ય તથા અનુશાસન જેવા ગુણો વિકસે એવી તાલીમ અને પ્રયત્નો આ કેમ્પ દરમિયાન કરવામાં આવ્યા હતા.
યુવાનોએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે સંવાદ કર્યો અને પોતાના અનુભવો વર્ણવ્યા હતા. આ અવસરે બીએસએફના ગુજરાત ફ્રન્ટીયરના ડીઆઈજી પીએસઓ રાજેશ શર્મા, સેક્ટર હેડ ક્વાર્ટર ડીઆઇજી ભૂપેન્દ્રસિંહ, ૧૨૩ બટાલિયનના કમાન્ડન્ટ ગુરિન્દ્રસિંહ, ડેપ્યુટી કમાન્ડન્ટ રિતેશ રંજન અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મનદીપ જાખર ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
