GSSSB Question paper leak : 93 કાર્યકરોને જેલમાં ધકેલી દેવાયા, ગુજરાત ભાજપને AAPએ ગણાવી 'બેશરમ'
GSSSB હેડ ક્લાર્કની ભરતી પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક થવાના મામલે ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલયની બહાર વિરોધ કર્યો હતો. જે કારણે આમ આદમી પાર્ટીના ગુજરાત એકમના 93 સભ્યોને તેના ટોચના નેતાઓ સહિત જેલમાં ધકેલી દેવાયા હતા.
GSSSB Question paper leak : GSSSB હેડ ક્લાર્કની ભરતી પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક થવાના મામલે ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલયની બહાર વિરોધ કર્યો હતો. જે કારણે આમ આદમી પાર્ટીના ગુજરાત એકમના 93 સભ્યોને તેના ટોચના નેતાઓ સહિત જેલમાં ધકેલી દેવાયા હતા. જેના એક દિવસ બાદ AAPએ બુધવારના રોજ ભાજપ પર વળતો પ્રહાર કર્યો હતો. આ સાથે ભારતીય જનતા પાર્ટીના પક્ષના નેતાઓને "બેશરમ" ગણાવ્યા હતા.
બુધવારના રોજ અમદાવાદમાં એક કોન્ફરન્સમાં AAP ગુજરાતના પ્રભારી ગુલાબ સિંહ યાદવે એક પ્રેસમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં જે ઘટનાઓ બની છે, તે આશ્ચર્યજનક છે. GSSSBના ચેરમેન અસિત વોરાએ હજારો વિદ્યાર્થીઓના જીવન સાથે રમત રમી છે, તેમ છતાં તેઓ ખુલ્લામાં છે, પરંતુ 28 મહિલાઓ સહિત અમારા 93 કાર્યકરો જેલમાં છે.
AAPએ આ કૌભાંડને લઈને GSSSB ચેરમેન અસિત વોરાની હકાલપટ્ટીની માગ કરી છે. "વોરા, જે ષડયંત્ર પાછળ છે, તેના પર ગુનાહિત ષડયંત્ર માટે IPC 120 (B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો નથી. આ ઘટના પર બીજેપી ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જે રીતે પ્રતિક્રિયા આપી છે, મને આશ્ચર્ય થાય છે કે, તેઓ આટલી હદે બેશરમ કેવી રીતે હોય શકે છે.
ગુલાબ સિંહ યાદવ જે નવી દિલ્હીના ધારાસભ્ય છે તેમને જણાવ્યું હતું કે, વોરાને હટાવીને તેમની સામે એફઆઈઆર દાખલ થવી જોઈતી હતી. જ્યાં સુધી આ વ્યક્તિ GSSSB ના વડા છે, ત્યાં સુધી નિષ્પક્ષ તપાસ થઈ શકે નહીં. અમે આ પરીક્ષામાં ઉપસ્થિત તમામ 88,000 વિદ્યાર્થીઓને 50,000 રૂપિયા વળતરની પણ માગ કરીએ છીએ.
20 ડિસેમ્બરના રોજ AAP કાર્યકરોએ ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (GSSSB) દ્વારા આયોજિત હેડ ક્લાર્કની ભરતી પરીક્ષા પહેલા પેપર લીક થવા મામલે પ્રશ્નપત્ર સાથે રાખીને ભાજપના શ્રી કમલમ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ સ્થળ પર ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ પોલીસે આપ કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો હતો.
જે બાદમાં ભાજપના કાર્યકરોની ફરિયાદના આધારે ગાંધીનગર પોલીસે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, મહિલા મોરચાના પ્રમુખ ગૌરી દેસાઇ, યુવા મોરચાના પ્રમુખ નિખિલ સવાણી અને ઇસુદાન ગઢવી અને હસમુખ પટેલ જેવા વરિષ્ઠ નેતાઓ સહિત AAPના 93 કાર્યકરોની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા લોકો પર આઈપીસીની 22 ફોજદારી કલમો અને અન્ય કૃત્યો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને કોર્ટે તેમને જામીન નકાર્યા બાદ મંગળવારના રોજ રાત્રે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
ગુલાબ સિંહ યાદવે ઉમેર્યું હતું કે, આજથી મહેશ સવાણી અને હું અમદાવાદમાં કલેક્ટર કચેરીની સામે અમારી માંગણીઓ માટે અનશન કરીશું.
રાજ્યમાં AAPની ટોચની નેતાગીરી સામે ગંભીર ગુનાહિત આરોપો વિશે પૂછવામાં આવતા ગુલાબ સિંહ યાદવે કહ્યું કે, "અમારા નેતા અરવિંદ કેજરીવાલ અને મારી વિરુદ્ધ દિલ્હી અને અન્ય શહેરોમાં અમારા નેતાઓ વિરુદ્ધ અનેક બનાવટી કેસ નોંધાયેલા છે.
AAP કાર્યકર્તાઓ જેલ જવાથી ડરતા નથી. આપણા અંતિમ ન્યાયાધીશો ગુજરાતની 6.5 કરોડ જનતા છે. અમે તેમને આહ્વાન કરીએ છીએ કે, ગુજરાતમાં શું થઈ રહ્યું છે તે તરફ નજર કરે અને એ વાત પણ ધ્યાને ધરે કે વિરોધ પક્ષ કોંગ્રેસ કેવી રીતે મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે પેપર લીક થયાનું સ્વીકારીને મંગળવારના રોજ હેડ ક્લાર્કની ભરતીની પરીક્ષા રદ્દ કરી હતી.