ગુજરાતમાં 8380 પ્રોજેક્ટના MoUમાંથી માત્ર 248 પ્રોજેક્ટ્સ શરૂ થયા : અર્જુન મોઢવાડિયા
અર્જુન મોઢવાડિયાએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના બીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કહ્યું હતું કે "ગુજરાતમાં વાઇબ્રન્ટ મહોત્સવના નામે ગુજરાતના કિંમતી સંશાધનો જેવા કે, કિંમતી જમીન, ટેક્ષમાં મોટી છુટછાટ, વિજળીમાં રાહત જેવી અનેક બાબતો અંગે વારંવાર પોકળ દાવા કરનાર ભાજપના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વાઇબ્રન્ટ સમિટની સાચી વિગતો જાહેર કરે."
અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું કે "ભાજપના મુખ્યમંત્રીએ 2003થી 2011 સુધીના દસ્તાવેજ, સામાજિક અને આર્થિક સર્વેક્ષણ કહે છે કે, વાઇબ્રન્ટ મહોત્સવોમાં 2011ની સાલમાં 20.83 લાખ કરોડનું મૂડી રોકાણ આવ્યું છે. ગત વર્ષે કુલ 8380 પ્રોજેકટના એમઓયુ થયા હતા. જેની સામે ફકત 248 પ્રોજેકટસ ગુજરાતમાં શરૂ થયા છે. જે સુચવે છે કે, વાસ્તવમાં ત્રણ ટકા પ્રોજેકટસ અને બે ટકા મૂડી રોકાણ પણ ગુજરાતમાં આવ્યુ નથી."
મોઢવાડિયાએ જણાવ્યું કે "2009ના આંકડા જોઇએ તો પણ 8660ની સામે ફકત 1342 પ્રોજેકટની શરૂઆત થઇ છે અર્થાત 12.39 લાખ કરોડના મૂડી રોકાણ સામે ફકત 1.04 લાખ કરોડનું મૂડી રોકાણ ગુજરાતમાં આવ્યું છે. આ આંકડાઓ અન્ય વિકસિત કે વિકાસશીલ રાજયો સાથે સરખાવીએ તો જણાય કે ગુજરાતના વિકાસમાં કોઇ પ્રગતિ થઇ નથી."
તેમણે વધુમાં જણાવ્યું કે, વાઇબ્રન્ટ મહોત્સવના તાયફાઓ અને રોજગારીની સરખામણી કરીએ તો અત્યંત નિરાશાજનક ચિત્ર સાંપડે છે. વાઇબ્રન્ટ થકી 1.01 કરોડ યુવાનોને રોજગાર મળશે એવો દાવો મોદી સરકારે અવાર-નવાર કર્યો છે પરંતુ તાજેતરમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન અન્વયે આપેલી માહિતીમાં સરકારે સ્વીકાર્યુ છે કે ફકત 5.68 લાખ યુવાનોને ગુજરાતમાં વાઇબ્રન્ટ થકી રોજગારી મળી છે.