રાજ્ય સરકારે ખરાબ રોડ-રસ્તા માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી શરુ કરી
ખોટી કામગીરી, ખાડાઓ અને બિસ્માર રસ્તાઓના મુદ્દે હવે કોન્ટ્રાક્ટરોને બક્ષવામાં નહીં આવે. રાજ્ય સરકાર અને મહાનગર પાલિકાઓએ ગંભીર પગલાં લેવાનું શરૂ કર્યું છે.
રાજ્યભરના વિવિધ શહેરોમાં ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ (DLP) હેઠળના રસ્તાઓમાં ખાડાઓ પડવાની અનેક ફરિયાદો બાદ સંબંધિત રોડ કોન્ટ્રાક્ટરો સામે સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તાત્કાલિક અસરથી તૂટી ગયેલા રસ્તાઓના મરામતના નિર્દેશ સાથે નોટિસો પાઠવી દેવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા DLP હેઠળના કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવામાં આવ્યા છે. જેમાં સુનીલ દોમડીયા, કે.કે.બી. પ્રોજેક્ટ્સ પ્રા.લી., એસ. ઝેડ. પટેલ, અંબિકા કન્સ્ટ્રક્શન, શ્રીજી કન્સ્ટ્રક્શન સહિત કુલ 9 કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં પણ રસ્તાઓની ગુણવત્તા ન હોવાને લીધે ડી.બી. પટેલ, એ.કે. મેક ઇન્ફ્રા, શિવાલય ઇન્ફ્રા, ગાયત્રી કન્સ્ટ્રકશન અને હિન્દુસ્તાન ફેબ્રીકેટર્સ સહિત 12 કોન્ટ્રાક્ટરોને દંડિત કરવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાએ પણ PWD હેઠળના પવન કન્સ્ટ્રક્શન અને ક્લાસિક કન્સ્ટ્રક્શન સહિતના કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી છે અને તેમના ખર્ચે તાત્કાલિક રિસરફેસિંગનો આદેશ કર્યો છે.
રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યુ છે કે DLP હેઠળ કામચલાઉ રોડના કારણે સર્જાતા અકસ્માતો કે જાનહાનિ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
સરકારની પ્રાથમિકતા પ્રજાની સુરક્ષા અને સુવિધા છે અને આ બાબતમાં કોઈ પણ જાતની બેદરકારી સહન કરાશે નહીં.












Click it and Unblock the Notifications
