વિકાસ આ ગામો સુધી ના પહોંચતા, મતદાનનો ગામોએ કર્યો બહિષ્કાર
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં તાપી અને મોરબીના આ ગામોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર. કારણ તેમને ત્યાં હજી વિકાસ નથી પહોંચ્યો.
શનિવાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું. આ પ્રથમ તબક્કાના મતદાનમાં કુલ 68 ટકા જેટલું વોટિંગ થયું. પણ આ તમામની વચ્ચે કેટલાક ગામો તેવા પણ હતા જેમણે મતદાનનો બહિષ્કાર કર્યો. નોંધનીય છે કે ગુજરાતના ઇતિહાસમાં પહેલા વાર મતદાતાએ ખૂબ જ સખત શબ્દોમાં પોતાનો વિરોધ મતદાન ના કરીને આપ્યો હતો. ગામનું એક પણ વ્યક્તિ મતદાન કેન્દ્ર પર ના ગયું કેમ કે તેમના ગામમાં જીવન જરૂરિયાત વાળી સેવાઓનો અભાવ હતો. કોઇ ગામમાં પાણી અને વીજળીની સમસ્યા હતા તો કોઇ ગામમાં રસ્તા અને શાળાની. એક બાજુ જ્યાં ગુજરાતમાં નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસની વાતો કરી રહ્યા છે ત્યાં જ હકીકત આ પણ છે કે આ ગામોએ એટલા માટે ચૂંટણીનો વિરોધ કર્યો કારણ કે તેમને ત્યાં વિકાસ પહોંચ્યો જ નથી.
તાપી જિલ્લાના સોનગઢના હિંદલા અને માળ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ અને વિજળી જેવા પ્રશ્નો તથા વહીવટી તંત્ર તથા સરકારના ભ્રષ્ટ્રાચારના કારણે આ ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તો બીજી તરફ મોરબીના ગઝાડી ગામે પણ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. નોંધનીય છે કે ચૂંટણી પહેલા જ આ ગામોએ બેનરો લગાવી અને કલેક્ટરને લેખિતમાં પોતાની સમસ્યા જણાવી વોટ માંગવા માટે કોઇ નેતાએ ગામમાં ના આવવું તેવું જણાવ્યું હતું. કલેક્ટરને પણ પોતાની સમસ્યાથી અવગત કરાવ્યા હતા. તેમ છતાં વાત હજી જેમની તેમ રહેતા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કરવાનો સામૂહિક નિર્ણય લીધો હતો. અને મતદાન ના કરીને વિરોધ દર્શાવ્યો હતો.