મોટા રાજ્યોમાં ગુજરાત સતત બીજી વખત નંબર વન
ગાંધીનગર, 3 નવેંબરઃ ગુજરાતે ફરી એ કરી બતાવ્યું! ઇન્ડિયા ટૂડેના 'સ્ટેટ્સ ઓફ ધ સ્ટેટ્સ એવોર્ડ 2012'મા ગુજરાતને ફરીથી મોટા રાજ્યોમાં શ્રેષ્ઠ અને નંબર વન રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. આ યાદીમાં ગુજરાત સતત બીજી વખત નંબર વન બન્યું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યએ કરેલા વિકાસના કારણે તે ફરી એક વખત નંબર વન બન્યું છે. ભારત દરેક નાગરીક એ જાણવા માગતો હોય છે કે અલગ-અલગ રીતે તેનું રાજ્ય દેશમાં કયું રેન્કિંગ ધરાવે છે. ઇન્ડિયા ટૂડે દ્વારા દર વર્ષ 'સ્ટેટ્સ ઓફ ધ સ્ટેટ્સ' સર્વે હાથ ધરવામાં આવે છે.

ઇન્ડિયા ટૂડે વેબસાઇટમાં સ્ટેટ્સ ઓફ ધ સ્ટેટ્સ સર્વે માટે મુકવામાં આવેલા અહેવાલમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતના દરેક ખૂણે વિકાસ જોવા મળે છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં દરેક ક્ષેત્રના વિકાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જેના કારણે કૃષિ અને ઔધોગિક ક્ષેત્રે ગુજરાતનો વિકાસદર ડબલ આંકડામાં છે. આ અહેવાલમાં ગુજરાતના વિકાસમાં સહયોગી એવી વનબંધુ કલ્યાણ યોજના અને સાગરખેડુ યોજનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આદિવાસી સમાજ માટે વર્ષ 2007માં વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી. આ ભારતમાં આદિવાસીઓના વિકાસ માટે રજૂ કરવામાં આવેલી સૌથી મોટી યોજના છે. આ યોજનાને 1500 કરોડના બજેટ સાથે રજૂ કરવામાં આવી હતી. પાંચ વર્ષના સમયગાળામાં આ યોજના 40 હજાર કરોડની થઇ ગઇ છે જે આદિવાસીઓના વિકાસ અર્થે કામ કરી રહી છે.
ગુજરાતના દરિયા કિનારે વસતાં લોકોના લાભાર્થે અને વિકાસ અર્થે સાગરખેડુ યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાત ભારતનું એવું રાજ્ય છે જે સૌથી મોટો દરિયા કિનારો ધરાવે છે. આટલા લાંબા દરિયા કિનારે વસતા લોકોના વિકાસે રાજ્યના વિકાસદરમાં પણ નોંધપાત્ર ભાગ ભજવ્યો છે.
એક દશકા પહેલાની સરખામણીએ ગુજરાતમાં આઠ લાખ હેક્ટર ખેતીલાયક જમીન ટપક સિંચાઇ પદ્ધતિ હેઠળ છે. કોલંબો સ્થિત ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર તુષાર શાહ કે જેમણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના વિદર્ભ પર કૃષિ વિકાસ પર સંશોધન કર્યું હતું. બે દશકા પહેલાં આ બન્ને રાજ્યોમાં કૃષિ વિકાસ એક સરખો હતો, પરંતુ આજે વિદર્ભ કરતા સૌરાષ્ટ્રમાં કૃષિ ક્ષેત્રે સારો વિકાસ જોવા મળે છે. '' કૃષિ ક્ષેત્રે ગુજરાત એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કૃષિક્ષેત્રે સંશોધન કરીને અને ખેડુતોને સાઇન્ટિફિક ફાર્મિંગ આપીને ગુજરાતે વિકાસને જાળવી રાખ્યો છે,'' શાહે કહ્યું છે.
વિશ્વના ૧૪૨ રાષ્ટ્રોના કરાયેલા સર્વેમાં ગુજરાત ૧૫ ક્રમાંકે
અત્રે નોંધનીય છે કે, ગુજરાતની વિકાસગાથામાં વધુ એક મોરપિચ્છનો ઉમેરો થયો છે, દેશનાં આર્થિક પાટનગર બાદ હવે ગુજરાતની ઓળખ દેશનાં સોશ્યલ પાટનગર તરીકે પ્રસ્થાપિત થઇ છે. વિશ્વના ૧૪૨ રાષ્ટ્રોના કરાયેલા સર્વેમાં ગુજરાતને ૧૫મું સ્થાન મળ્યું છે.સ્વતંત્ર, બિન પક્ષપાતી, પબ્લિક પોલીસી સાથે સંકળાયેલી લંડન સ્થિત લેગ્થમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા વિશ્વના ૧૪૨ રાષ્ટ્રોનો સર્વે કરવામાં આવ્યો હતો. લેગ્થમ ઇન્સ્ટીટ્યુટએ સ્વતંત્ર પબ્લીક પોલીસી સાથે સંકળાયેલી બિન પક્ષપાતી સંસ્થા છે. રાજકારણ, અર્થશાસ્ત્ર, સાંસ્કૃતિ અને ફીલોસફી જેવા મુદ્દાઓ ને ધ્યાનમાં રાખીને સર્વે કરે છે. વિશ્વના ૧૪૨ રાષ્ટ્રોમાં ગુજરાતને ૧૫મો ક્રમાંક પ્રાપ્ત થયો છે. જ્યારે આ સર્વેમાં ભારતનો ક્રમ ૧૩૮મો છે અને ઉત્તરાખંડનો બેલ્જીયમની સાથે ૧૮ મો ક્રમાંક છે.
વિશ્વના વિકસિત ગણાતા ઘણા રાષ્ટ્રોને પાછળ મુકીને ગુજરાતે વિકસિત રાષ્ટ્ર જર્મની સાથે ૧૫ મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. લેગ્થમ ઇન્સ્ટીટયુટ દ્વારા કરાયેલ આ સર્વે ઉપલબ્ધ રાષ્ટ્રીય સંપતિ અને વ્યક્તિગત સુખાકારી સંદર્ભે રાષ્ટ્રીય સમૃદ્ધિ પર આધારીત છે. જે વિશ્વની ૯૬ ટકા વસ્તી અને ૯૯ ટકા ગ્લોબલ જીડીપીને આવરી લે છે.
અર્થતંત્ર, શિક્ષણ, સાહસો અને તેની તક ગર્વન્સ, આરોગ્ય, વ્યક્તિગત સ્વતંત્રતા, સુરક્ષા અને સલામતી સામાજીક મૂડી, આમ આઠ કેટેગરીને ધ્યાનમાં લઈને વિશ્વના ૧૪૨ રાષ્ટ્રોની આ સર્વેમાં સરખામણી કરવામાં આવી હતી.
સામાજીક મૂડી એ સમૃદ્ધિ માટેનું સૌથી મહત્વનું ઘટક છે. તે સમાજના નાગરિકોના આંતરિક વિશ્વાસ અને ધર્માદા વર્તનનો સંચય છે જેમાં સામાજિક અને સમુદાય જેવા પરિબળોનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
