ગુજરાતમાં પેટા ચૂંટણીઃ ભાજપના બન્ને હાથમાં લાડવા
ગાંધીનગર, 2 મેઃ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં પેટા ચૂંટણી યોજવાની તારીખ જાહેર કરી દીધી છે, જે બેઠકો પર આ પેટા ચૂંટણી થવાની છે, તેમાની મોટાભાગની બેઠકો આ પહેલા કોંગ્રેસના હાથમાં હતી, પરંતુ કોંગ્રેસની વ્યક્તિગત મહત્વકાંક્ષા અને આંતરિક મનમોટાવવાળી રાજનીતિના કારણે તેણે આ તમામ બેઠક ગુમાવી પડી છે અને હાલના માહોલને જોતા કોંગ્રેસ પુનઃ આ બેઠક હાંસલ કરે તેવી શક્યતાઓ નહિવત છે. જ્યારે બીજી તરફ ગુજરાતમાં મોદીએ મુખ્યમંત્રી તરીકે હેટ્રિક નોંધાવી છે અને દેશભરમાં મોદી મેજીકનો માહોલ ઉભો થયો છે, ત્યારે એ વાતમાં બેમત નથી કે તેનો સીધો ફાયદો જે બેઠકો પર કોંગ્રેસ વિજયી થયું હતું તે બેઠકો ભાજપની ઝોળીમાં આવી શકે છે.
જે રીતે વિઠ્ઠલ રાદડિયાને લઇને કોંગ્રેસમાં વિખવાદ ઉભો થયો અને તેઓ ભાજપના શરણે જતા રહ્યાં તેના પરથી એ વાત સ્પષ્ટ છે કે ધોરાજી અને જેતપુરની વિધાનસભાની બેઠક તથા પોરબંદરની લોકસભાની બેઠકમાં તેઓ ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા અને પોતાની શક્તિનો પરચો કોંગ્રેસને આપવા માટે પોતાનું સર્વસ્વ રેડી દેશે અને કોંગ્રેસને સ્પષ્ટ સંદેશો આપી દેશે કે તેમણે એક આલા દરજાના નેતાને ગુમાવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ પાસે પણ એવા કોઇ નેતા હાલ જણાતા નથી કે, જે પોતાની લોકપ્રિયતાના જોરે જે બેઠકો કોંગ્રેસે મેળવી હતી તેને ફરીથી કોંગ્રેસની ઝોળીમાં લાવી શકે.

2 જૂને ગુજરાતમાં જે પેટા ચૂંટણી થવાની છે, તેમાં ભાજપે કંઇ ગુમાવવાનું નહીં પરંતુ મેળવવાનું છે, કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ ભાજપ વિધાનસભાની બે બેઠક ધોરાજી અને જેતપુર હસ્તગત કરવા માટે પૂર્વ કોંગ્રેસી અને હાલ ભાજપમાં જોડાયેલા વિઠ્ઠલ રાદડિયા અને તેમના પુત્રનો ઉપયોગ કરી શકે છે. તો લોકસભા માટે પોરબંદરની બેઠક હસ્તગત કરવા માટે પણ તે વિઠ્ઠલ રાદડિયાને આગળ કરી શકે છે. જ્યારે અન્ય લોકસભાની બેઠક બનાસકાઠા અને વિધાનસભાની અન્ય બે બેઠક લીંબડી અને મોરવા હડફમાં પણ હાલના માહોલને જોતા જો ભાજપ વિજયી થશે તો ચોક્કસપણે કહી શકાય કે આ પેટા ચૂંટણીને લઇને ભાજપના બન્ને હાથમાં લાડવા છે.
કોંગ્રેસને નડી પોતાની વ્યક્તિગત મહત્વકાંક્ષા
કહેવાય છે ને કે મહત્વકાંક્ષા સારી પરંતુ જ્યારે એ મહત્વકાંક્ષામાં અતિનો ઉમેરો થાય ત્યારે તે વિનાશને આપમેળે આમંત્રિત કરી દે છે, કંઇક આવુંજ ગુજરાતની લોકસાભની બેઠક અને વિધાનસભાની બેઠકોને લઇને કોંગ્રેસ સાથે થયું છે. ગુજરાતમાં સતત ભાજપનું શાસન રહેતા, કોંગ્રેસે તેની ગુજરાતની સત્તા લાલસાને સંતોષવા માટે પોતાના બે સાંસદો વિઠ્ઠલ રાદડિયા(પોરબંદર) અને સોમા પટેલ(સુરેન્દ્ર નગર)ને વિધાનસભાની ચૂંટણીમાં ઉતાર્યા. વિઠ્ઠલ રાદડિયા ધોરાજીમાંથી અને સોમા પટેલ લીંબડી બેઠક પરથી વિજયી થયા, પરંતુ 2012ની ચૂંટણીમાં ભાજપ ફરીથી ગુજરાતની ગાદી પર બીરાજ્યું અને કોંગ્રેસે કેન્દ્રમાં પોતાની સત્તાને સાચવવા ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પોતાના નેતાઓને ધારાસભ્ય તરીકેથી રાજીનામું આપવા કહ્યું. સોમા પટેલે હાઇકમાન્ડના આદેશને માન્યો અને કોંગ્રેસે લીંબડીની બેઠક ગુમાવી જ્યારે વિઠ્ઠલ રાદડિયા હાઇકમાન્ડના તાબે ના થયા અને વિરોધપક્ષના નેતા તરીકે પણ કોઇ સ્થાન નહીં મળતા તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો જેના કારણે કોંગ્રેસને લોકસભામાંથી એક બેઠક અને ગુજરાત વિધાનસભામાંથી બે બેઠક(ધોરાજી અને જેતપુર) ગુમાવવાનો વારો આવ્યો છે, આમ કોંગ્રેસને પોતાની સત્તા હાંસલ કરવાની વ્યક્તિગત મહત્વકાંક્ષાના કારણે દિગ્ગજ નેતા ગુમાવવા પડ્યાં. જેનો ચોખ્ખો ફાયદો નિશંકપણે ભાજપને થવાનો છે.
ક્યારે છે ગુજરાતમાં પેટા ચૂંટણી
ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર 2 જૂને મતદાન કરવામા આવશે અને પાંચ જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવ્યાની સાથે જ રાજકોટ સહિતના પાંચ જિલ્લામાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલા કાર્યક્રમ અનુસાર આગામી 8 મેના રોજ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે જે 15 મે સુધી ચાલશે. 16 મેના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવસે અને 18 મેના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે, જ્યારે ચૂંટણી 2 જૂનના રોજ યોજાશે અને મતગણતરી 5 જૂનના રોજ હાથ ધરવામાં આવશે. લોકસભાની પેટા ચૂંટણી પોરબંદર અને બનાસકાઠામાં યોજાનારી છે, જ્યારે ધોરાજી, જેતપુર, લીંબડી અને મોરવા હડફની બેઠક પર ધારાસભાની પેટા ચૂંટણી યોજાશે.












Click it and Unblock the Notifications
