Gujarat Cabinet reshuffle : દિવાળી પહેલા જ મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ નિશ્ચિત, આ નામોને મળશે સ્થાન
Gujarat Cabinet reshuffle : ગુજરાત રાજ્યના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળના મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિસ્તરણ થઈ શકે છે.
સૂત્રો અનુસાર, દિવાળીના તહેવારોની શરૂઆત થાય તે પહેલા જ આ મોટો રાજકીય ફેરફાર થઈ શકે છે, જેના કારણે ધારાસભ્યો અને કાર્યકરોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ વિસ્તરણ દ્વારા સરકારમાં પ્રાદેશિક અને જ્ઞાતિગત સમીકરણોને સાધવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી આવનારી લોકસભા ચૂંટણી માટે પક્ષની પકડ વધુ મજબૂત બની શકે.
આ સંભવિત વિસ્તરણમાં અનેક નવા ચહેરાઓને તક મળી શકે છે, જેમાંથી કેટલાક અગ્રણી નામોની જોરદાર ચર્ચા ચાલી રહી છે. ધારાસભ્યો જયેશ રાદડિયા, સી.જે. ચાવડા, અલ્પેશ ઠાકોર અને મહેશ કસવાલાને મંત્રી પદ મળી શકે છે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
આ ઉપરાંત પૂર્વ મેયર કેયુર રોકડિયા પણ મંત્રીમંડળમાં સ્થાન મેળવી શકે છે. નવા યુવા અને મહિલા ચહેરાઓ તરીકે જીતુ ચૌધરી, સંગીતા પાટીલ, ઉદય કાનગડ અને રિવાબા જાડેજાને પણ મંત્રી પદની જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવનાઓ છે. આ સાથે જ પૂર્વ મંત્રી જીતુ વાઘાણીની પણ મંત્રીમંડળમાં પુનઃએન્ટ્રી થઈ શકે છે.
મંત્રીમંડળના આ વિસ્તરણની અટકળોએ ત્યારે જોર પકડ્યું જ્યારે સોમવારે મોડી રાત સુધી દિલ્હીમાં ગુજરાતના ટોચના રાજકીય નેતાઓની મેરેથોન બેઠક યોજાઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા અને સીઆર પાટીલની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે આ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. દિલ્હીમાં થયેલી આ ઉચ્ચ-સ્તરીય બેઠકે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુજરાતના રાજકારણમાં ટૂંક સમયમાં જ કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે.












Click it and Unblock the Notifications
