Gandhinagar: મંત્રીમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે આવતીકાલે નહીં મળે કેબિનેટ બેઠક, જાણો વધુ વિગત
Gandhinagar: ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં મોટા ફેરફારો થવાની પ્રબળ અટકળો વચ્ચે બુધવારે ગાંધીનગરથી એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. ગુરુવારે નિયમિતપણે મળનારી રાજ્યની કેબિનેટ બેઠક હવે યોજાશે નહીં.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા આગામી એક કે બે દિવસમાં પૂર્ણ થઈ શકે છે, જેને પગલે ગુરુવારની બેઠક રદ કરવામાં આવી છે. હવે નવા મંત્રીમંડળની રચના અને ખાતાઓની ફાળવણી થયા બાદ જ કેબિનેટની બેઠક મળશે. જો સપ્તાહના અંત સુધીમાં વિસ્તરણ થશે તો ત્યારબાદ નવી કેબિનેટ બેઠક બોલાવવામાં આવશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રવાસ ટૂંકાવી પરત ફરશે
મંત્રીમંડળ વિસ્તરણની ગતિવિધિઓ વચ્ચે અન્ય એક મહત્ત્વના સમાચાર એ છે કે, પોતાના વતનના પ્રવાસે ગયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને આજે રાત્રે જ ગાંધીનગર પરત ફરી રહ્યા છે, જે સૂચવે છે કે શપથવિધિ ગમે ત્યારે થઈ શકે છે.
17 ઓક્ટોબરે શપથવિધિની સંભાવના
અંદરના સૂત્રોના મતે, આગામી 17 ઓક્ટોબરના રોજ 12:39ના વિજય મુહૂર્તમાં શપથવિધિ યોજાઈ શકે છે. નવા મંત્રીમંડળની શપથવિધિમાં શક્તિ પ્રદર્શન જોવા મળી શકે છે. અંદાજે 23 જેટલા મંત્રીઓનો સમાવેશ નવા મંત્રીમંડળમાં થઈ શકે છે, જેમાં 10થી વધુ કેબિનેટ મંત્રીઓ હશે.
રાજીનામા પહેલાં કેન્દ્રીય સંગઠનના આગેવાન આવશે
બીજી તરફ, હાલના જે મંત્રીઓને પડતા મૂકવામાં આવશે, તેમના રાજીનામા ગુરુવારે લઈ લેવાય તેવી પણ ચર્ચા છે. જોકે, મંત્રીઓના રાજીનામાની પ્રક્રિયા પહેલાં કેન્દ્રીય સંગઠનના મહત્ત્વના આગેવાનો ગુજરાતની મુલાકાત લેશે.












Click it and Unblock the Notifications
